ગુજરાતમાં જંત્રીદર વધારા અંગે લાંબા સમયથી ગતિવિધીઓ ચાલી હોવા છતાંય સરકારે તેના નિર્ણયમાં પાછી પાનિ કરતાં 100%નો વધારો મોકુફ રાખવો પડ્યો છે. નવા જંત્રી હવે 15 એપ્રિલથી દર અમલમાં આવવાના છે ત્યારે સરકારી સુત્રોનું કહેવું છે કે, પૂરતો સમય મળ્યો હોવા છતાંય ઉતાવળીયા જેવા આ પગલાં બાદ સરકાર હવે સાવધાપૂર્વક આગળ વધશે. 15 એપ્રિલ પછી પણ નવી જંત્રી લાગુ કરતા અગાઉ સાયન્ટીફીક રીતે જંત્રીની સમીક્ષા કર્યા બાદ તેને લાગુ કરવામાં આવશે. આ માટે બે સભ્યોની એક સમિતિ પણ બનવા જઈ રહી છે.
ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ હવે રાજયના બે મંત્રીઓના નેતૃત્વમાં અધિકારીઓની એક સમિતિ બનશે જે જંત્રી દર વધારા અંગે એક ફોર્મ્યુલા તૈયાર કરી સરકાર સમક્ષ રજૂ કરશે. આ સમિતિમાં મહેસુલ વિભાગના નિવૃત થયેલા અધિકારીને પણ જોડવા સરકાર નિશ્ચય કરી ચૂકી છે. તેમના રિપોર્ટ પછી પણ પુરતી મુદત આપ્યા બાદ નવા જંત્રીદર અમલમાં આવશે.
નવી જંત્રી અંગે હાલ કંઈપણ કહેવું ઉતાવળભર્યું લેખાશે પરંતુ એ નિશ્ચિત માનવામાં આવે છે કે, રાજય સરકાર બિલ્ડર્સ માટે એફએસઆઈ ગણતરીમાં પણ હવે છૂટછાટ આપશે અને નોન-એગ્રીકલ્ચર પ્રિમીયમમાં પણ રાહત આપશે. એ ઉપરાંત સૂત્રોનું કહેવું છે કે, હવેનાં જંત્રી દરમાં હાલની વિસંવાદીતા પણ દૂર કરાશે. ખાસ કરીને રાજયમાં નવા વિકસીત થયેલા ક્ષેત્રમાં જમીનના ભાવ આસમાન કરતા પણ ઉંચા થયા છે ત્યાં જંત્રીદર 12 વર્ષ પુર્વે જે હતા તેમાં 100% વધારો પણ ઓછો પડે તેમ છે.
સુરત જેવા શહેરોમાં જૂના વિસ્તારોમાં માંગ ઘટી ગઈ છે અને સામે વેસુ, વીઆઈપી રોડ, પાલ જહાંગીરપુરા જેવા વધુ સુવિધાવાળા ક્ષેત્રમાં વધવા લાગ્યા છે અને જૂના ક્ષેત્રોમાં માર્ગ સહિતની સુવિધાઓ ઓછી છે ત્યાં 100% વધારો નહીં થશે. એ સિવાય આસપાસના ક્ષેત્રોમાં કયા પ્રકારની ઈમારતો છે અથવા બાંધકામ છે તેને પણ ધ્યાનમાં લેવાશે. મોટી હોસ્પિટલ જેવા વિસ્તારોમાં રહેણાંકના ભાવ નથી મળતા તો કોમર્શિયલ ભાવ મળે છે તે પણ જોવાશે.
ગાંધીનગર સ્થિત એક ટોચના અધિકારીએ વધુ સમજ પુરી પાડતાં જણાવ્યું હતું કે, સરકાર પાસે છેલ્લા ત્રણ વર્ષના ડેટા છે અને તેમાં સ્પષ્ટ દર્શાવાયું છે કે અનેક ક્ષેત્રોમાં જંત્રીદર 300% વધારાય તો પણ પ્રશ્ન નથી પણ અનેક વિસ્તારોમાં 50% વધારો પણ મોટો ગણાશે. સરકાર રેરામાં જે પ્રોજેકટ નોંધાયા છે તેના પ્રોજેકટ કોસ્ટ વગેરે પણ સુપ્રત કરાયા છે તેની એક કટઓફ ડેટ નિશ્ચીત કરીને તેમાં જૂની જંત્રીદર લાગુ કરી શકે છે અથવા થોડો વધારો કરશે. ખાસ કરીને રેરા-પાસે રજીસ્ટર પ્રોજેકટમાં એડવાન્સ બુકીંગ પણ થઈ ગયા છે. અનેક પ્રોજેકટ પુરા થવામાં છે તો તા.15 એપ્રિલ બાદ તેમાં 100%નો જંત્રીદર વધારો ઘાતક બની શકે.
સુરતના એક બાંધકામ ઉદ્યોગપતિનું કહેવું છે કે, જંત્રીદર વધારાનો ડોઝ જે રીતે રજૂ કરી પાછો ખેંચવામાં આવ્યો છે તેનાથી બિલ્ડર્સ અને આવાસ ખરીદનાર તથા ઈન્વેસ્ટમેન્ટ હેતુથી બુકીંગ કરાવનાર સાવધાન થઈ ગયા છે. 15 એપ્રિલ પુર્વે દસ્તાવેજોની નોંધણીમાં ખૂબ જ ધસારો થશે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એમપણ માર્ચ મહિનામાં દસ્તાવેજ નોંધણી માટે લોકોનો ધસારો અસામાન્ય બની જતો હોય છે ત્યારે 15 એપ્રિલે જંત્રીદરનો વધારો સરકાર જાહેર કરે એ અગાઉ દસ્તાવેજ કરાવવા માટે ઘર કે જમીન ખરીદનાર ઉતાવળા બનશે અને ‘ટોકન’ મેળવવા પણ ઉતાવળ થશે તો તેની સાથે સ્ટેમ્પ પેપર મેળવવા પણ ધસારો થશે. જણાવી દઇએ કે, સ્ટેમ્પ પેપરની ઓનલાઈન ખરીદી થયા બાદ તે છ માસ સુધી વેલીડ હોય છે.