આજકાલ ખાવાપીવાની વસ્તુઓમાંથી મરેલા જીવ જંતુ નીકળવાની ઘટના જાણે કે સામાન્ય બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે.કારણકે આજે બાલાજીની વેફરના પેકેટમાંથી મરેલો દેડકો મળી આવ્યો હતો.જે બાદ આ અંગે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ દાખલ કરતા તેઓએ પણ એલફેલ જવાબ આપ્યા હતા.
બાલાજીની વેફરમાંથી મરેલો દેડકો મળીઆવ્યો
જામનગરમાં પુષ્કરધામ સોસાયટીમાં રહેતા એક વ્યક્તિએ બાલાજીની મોળી વેફરનું પેકેટ ખરીદ્યુ હતું.જે બાદ ઘરે જઈને તે વેફરના પેકેટને ખોલતા જ તેમાંથી મૃત દેડકો મળી આવતા પરિવારના સભ્યો થોડીવાર તો ચોકી ગયા હતા.વેફરમાંથી રાત્રે દેડકો નીકળતાં તેઓએ પેકેટવાળીને મૂકી દીધુ હતું અને સવારે જસ્મીન પટેલે જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાનો સંપર્ક કરતાં ફૂડ શાખાએ આગળની તપાસ હાથ ધરી છે.
દુકાનદારને દેડકો દેખાડ્યો હતો
આ અંગે ફરિયાદીએ જણાવ્યું હતું કે, મારી ભત્રીજીએ બાજુની દુકાન પટેલ જનરલ સ્ટોર્સ પર ગઇકાલે 8 વાગતાં બાલાજી કંપનીની કંનચેસ વેફર લીધી હતી. રાત્રે 11 વાગતા મારી નવ મહિનાની છોકરી અને ભત્રીજી વેફર ખાતા હતા ત્યારે અચાનક અંદરથી મરેલો દેડકો નીકળતાં એમણે પેકેટ ફેકીને મને જાણ કરી હતી. મેં જોયું તો અંદર મરેલો દેડકો હતો. રાત્રે મેં પેકેટ એમને એમ મૂકી દીધુ હતું અને સવારે દુકાને આવીને મેં દેડકો દેખાડ્યો હતો.
ગ્રાહક સુરક્ષાવાળાએ એલફેલ જવાબ આપ્યા
દુકાનવાળાએ ગ્રાહક સુરક્ષાનો સંપર્ક કરવા જણાવ્યું હતું. ત્યારબાદ તેમણે ગ્રાહક સુરક્ષાનો સંપર્ક કરતા સરખો જવાબ ન મળ્યો અને કહ્યું કે એવું તો રોજ બન્યા જ કરે છે… જે બાદ મહાનગરપાલિકાના ફુડ વિભાગનો કોન્ટેક કરીને સમગ્ર મામલાની જાણ કરી હતી.ફુડ વિભાગને જાણ કરતા જ તંત્ર દોડતું થયું હતુ અને ફુડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.ફૂડ શાખાએ જણાવ્યું હતું કે, વેફર પેકેટને કબ્જે લેવામાં આવ્યું છે. જ્યાથી આ પેકેટ લેવામાં આવ્યું હતું તે એજન્સીની પણ તપાસ કરવામાં આવી છે. વેફરનું સેમ્પલ પણ લેવામાં આવ્યું છે અને લેબોલેટરીમા પણ તપાસ માટે મોકલવામાં આવ્યું છે. જે પણ કાર્યવાહી હશે તે કરવામાં આવશે અને પગલાં લેવામાં આવશે