આવતીકાલ મંગળવાર તા. 10મી મે એ કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસની જાહેરાત અનુસાર, રાહુલ ગાંધી કાલે દાહોદમાં ‘આદિવાસી સત્યાગ્રહ રેલી’ને સંબોધન કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. એ પૂર્વે ગુજરાતમાં રાષ્ટ્રીય નેતાઓની આવન-જાવન જોવા મળી રહી છે.
કોંગ્રેસના ગઢ સમાન આદિવાસી બહુમતી ધરાવતા દાહોદ અને આસપાસના વિસ્તારમાં ભાજપે સ્થાન જમાવવાના પ્રયાસરૂપે ગત મહિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાહોદ અને આસપાસના જિલ્લાઓને આવરતી એક પ્રભાવક રેલી યોજી હતી. ત્યારબાદ આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે ભરૂચના આદિવાસી પટ્ટામાં ભારત ટ્રાઇબલ પાર્ટીની સાથે જોડાણની જાહેરાત સાથે સાથે અહીં રેલી યોજી હતી. હવે રાહુલ ગાંધી દાહોદમાં એક વિશાળ રેલી અને કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક સહિતના આયોજનો માટે આવી રહ્યા છે.
આદિવાસી જિલ્લાઓ રાજકીય પક્ષોના સૌપ્રથમ ટાર્ગેટ બનવાની સાથે ગુજરાતમાં હવે રાજકારણ પલ્ટાઈ રહ્યું છે, જેનો ફાયદો કોને થશે એ તો સમય જ કહી શકશે.
ગુજરાત કોંગ્રેસની જાહેરાત અનુસાર, રાહુલ ગાંધી દાહોદના નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ઐતિહાસિક મેદાન ઉપર મંગળવારે સવારે 10 વાગ્યે રેલી સંબોધશે. ગુજરાતમાં ભાજપની સરકાર આદિવાસી સમાજની ઓળખ અને તેની સંસ્કૃતિને મોટાપાયે નુકસાન પહોંચાડી રહી છે એટલા માટે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી રેલી થકી ભાજપ સરકારને ઢંઢોળશે. રેલી બાદ બપોરે કોંગ્રેસના ધારાસભ્યો સાથે પણ બેઠક કરશે. કોંગ્રેસમાં ભારે ગાબડાં પડ્યા બાદ આ બેઠક ગુજરાતમાં કોંગ્રેસના અસંતોષને બહાર લાવવા પ્રયાસ થશે. કોંગ્રેસ અસંતુષ્ટો પરત્વે કડક વલણનો નિર્દેશ જાહેર કરી ચૂક્યું છે. રાહુલ ગાંધી આદિવાસી વિસ્તારના તમામ આગેવાનો સાથે પણ વિશેષ સંવાદ બેઠક યોજશે.
ગુજરાતના રાજકીય દ્રશ્ય પર નજર કરીએ તો ડાંગ, નર્મદા, ભરૂચ, બનાસકાંઠા, દાહોદ સહિતના જિલ્લાઓની 27 વિધાનસભા બેઠકો આદિવાસી ક્ષેત્રની છે. જ્યાં અત્યાર સુધી હારજીત ઉપરાંત પણ કોંગ્રેસનું વર્ચસ્વ જણાય છે.2017ની ચૂંટણીમાં ભાજપે આ બેલ્ટ પર પોતાનો દેખાવ સુધાર્યો હોવા છતાંય કોંગ્રેસનું વર્ચસ્વ જળવાઈ રહ્યું છે. ગઈ ચૂંટણીની વાત કરીએ તો, કોંગ્રેસને 15, ભારતીય જનતા પક્ષને 9 અને બીટીપીને ર બેઠકો મળી હતી જયારે એક બેઠક મોરવા હડફ માં અપક્ષ ઉમેદવાર જીત્યા હતા. પરંતુ ત્યારબાદ ડાંગ અને કપરડાના કોંગ્રેસ ધારાસભ્યો ભાજપમાં જોડાયા અને બાદમાં મોરવાહડફની સીટ પેટા ચૂંટણીમાં ભાજપે મેળવી અને કુલ તે 12 બેઠકો પર આવી ગયો હાલમાં જ ખેડબ્રહ્માના ધારાસભ્યએ પણ કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપમાં પ્રવેશ કર્યો છે. વિધાનસભા ચૂંટણીઓ નજીક આવતાં આ વિસ્તારમાં હજુ ભારે ઉથલપાથલની શકયતા છે.
કોંગ્રેસ પક્ષે પોતાની આદિવાસી વોટબેન્કને ટકાવી રાખવા કે મજબૂત બનાવવા કમર કસવા માંડી છે. કોંગ્રેસે તાજેતરમાં વિપક્ષના નેતા તરીકે સુખરામ રાઠવાને જવાબદારી સોંપી આદિવાસી ક્ષેત્રમાં કોંગ્રેસનું જોર યથાવત રાખવા તેમનો ઈરાદો દર્શાવી દીધો છે. એટલું જ નહીં કોંગ્રેસે ઓબીસી પ્રમુખ તરીકે જગદીશ ઠાકોર પર વિશ્વાસ મૂકી આ ઈરાદાઓને વધુ બળ આપવા પ્રયાસ કર્યો છે.
આ તમામ હીલચાલ વચ્ચે ઉલ્લેખનીય છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખી કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર એક પછી એક મોટા આયોજનો સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ ગોઠવાઈ રહ્યા છે. આજથી ભાજપના ટ્રાઇબલ સેલનું ત્રણ દિવસનું રાષ્ટ્રીય અધિવેશન પણ શરૂ થયું છે. આ અધિવેશન કેજરીવાલ અને રાહુલ ગાંધી સામેની જવાબી કાર્યવાહી તરીકે જોવાય છે.