વિશ્વમાં સૌ પ્રથમવખત WHO ના સહયોગથી ‘ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટ’ યોજાવા જઈ રહી છે. ગૌરવની વાત એ છે કે, 17 અને 18 ઓગસ્ટ એમ બે દિવસની આ સમિટનું આયોજન કરવાનો અવસર ગુજરાતને સાંપડ્યો છે. ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે G20 દેશોના આરોગ્ય મંત્રીસ્તરની બેઠકમાં વિશ્વની પ્રાચીનતમ પરંપરાગત પદ્ધતિઓ જેમકે આયુર્વેદ યુનાની સહિતની અને 140 જેટલી ટ્રેડિશનલ મેડિસિનની પદ્ધતિઓના નિષ્ણાંતો તેમાં જોડાશે. રાજકીય પ્રતિબદ્ધતા અને પૂરાવા આધારિત ચર્ચાઓને અહીંથી વિશ્વ સમક્ષ મૂકવામાં આવશે.
આયોજનને રૂપરેખા આપવા જામનગર ખાતે એક બેઠક મળી હતી. બેઠક બાદ આ અંગે ગુજરાત બ્રેકિંગ સમક્ષ વિગતો આપતાં તજજ્ઞોએ જણાવ્યું હતું કે, કોવિડ અને ત્યારબાદ જીવનધોરણમાં સમગ્ર સૃષ્ટિ પર જે ફેરફારો આવ્યા છે અથવા તો લોકોના મનમાં જે મેડિસિનને લઈને ગ્રંથી બંધાઈ રહી છે એવામાં આ સમિટ સમગ્ર વિશ્વ લોકોની સ્વાસ્થ્ય અને સુખાકારીની જરૂરિયાતોને સંબોધવા માટેનું એ નિશ્ચિત જગતને એક નવી રાહ ચિંધવાનું પ્રથમ સોપાન બની રહેશે.
ગ્લોબલ સમિટનું આયોજન WHO અને ભારત સરકારની સહભાગીદારીથી થઈ રહ્યું છે. આ સમિટ પરંપરાગત દવાઓના વપરાશકર્તાઓ અને સમુદાયો, શિક્ષણવિદો, સામાજિક સંસ્થાઓ, રાષ્ટ્રીયનીતિ નિર્માતાઓ સહિત તમામ હિતધારકો માટે આરોગ્ય અને ચિરકાલિન વિકાસમાં પરંપરાગત દવાના યોગદાન પર શ્રેષ્ઠ પ્રથાઓની આપ-લે માટેનું વૈશ્વિક પ્લેટફોર્મ બનશે. બાજી પલટી શકે તેવા પુરાવાઓ, આંકડાકીય વિગતો અને લેટેસ્ટ સંશોધનોથી પરંપરાગત દવાઓને એક નવો મુકામ મળી શકે છે.
ભારત સરકારના આયુર્વેદના પ્રથમ રાષ્ટ્રીય સંસ્થાન ITRAના નિયામક પ્રોફેસર વૈદ્ય અનૂપ ઠાકરે વધુમાં વિગતો આપતાં જણાવ્યું હતું કે, સદીઓથી પરંપરાગત દવાઓ એ વિવિધ સંસ્કૃતિનો ભાગ રહી છે. આધુનિક સિધ્ધાંતો અને તબીબી ગ્રંથોના મૂળમાં પાયા પરંપરાગત દવાઓ સમાયેલી છે. આજે લગભગ 40 % ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો કુદરતી ઉત્પાદનનો આધાર લઈને જ આગળ વધવામાં પોતાને સુરક્ષિત માને છે. એસ્પિરિન, આર્ટેમિસિનિન અને બાળકોના કેન્સરની સારવાર સહિતની ઘણી દવાઓનો સ્ત્રોત પણ પરંપરાગત દવાઓ છે. જીનોમિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સહિત નવા સંશોધનો આ ક્ષેત્રમાં પ્રવેશી રહ્યાં છે. હર્બલ દવાઓ, કુદરતી ઉત્પાદનો, આરોગ્ય, સુખાકારી અને એ લાભ મેળવવા માટેના પ્રવાસન ઉદ્યોગ વધી રહ્યાં છે. હાલમાં, 170 સભ્ય દેશોએ ટ્રેડિશનલ મેડિસિનના ઉપયોગ અંગે WHOને જાણ કરી છે.
તમને યાદ અપાવી દઈએ કે, પરંપરાગત દવાઓ તરફ વિશ્વનો ઝોક વધી રહ્યો છે અને તેની વધતી માંગના પ્રતિભાવમાં, WHO એ ભારત સરકારના સહયોગથી જામનગરમાં ગત વર્ષે ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મોરિશિયસના વડાપ્રધાન પ્રવીણ જગન્નાથ અને WHOના ડાયરેક્ટર જનરલ ટેડરોસની પ્રભાવક ઉપસ્થિતિમાં ‘WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન’નું ભૂમિપૂજન થયું હતું. આ WHO GCTM વિશ્વના આરોગ્ય માટે પ્રાચીન પરંપરા અને આધુનિક વિજ્ઞાનને ઉત્પ્રેરિત કરવાના મિશન સાથે જ્ઞાન કેન્દ્ર તરીકે લોકો અને દુનિયાની સુખાકારી માટે WHO હેડ ક્વાર્ટર અને તેના છ પ્રાદેશિક કાર્યાલયો દ્વારા પારંપરિક ચિકિત્સા પદ્ધતિઓને વિશ્વના મુખ્ય પ્રવાહમાં લાવવાના ભગીરથ પ્રયાસોને વેગવાન બનાવવા બળ પ્રદાન કરશે.
જામનગર સ્થિત ITRAના આયુર્વદ કેમ્પસમાં ધન્વંતરિ ગ્રાઉન્ડ ખાતે WHO GCTM કાર્યાલય ખાતે તા. 11 અને 12 જુલાઈએ એક બેઠક મળી હતી. આ બેઠકમાં WHO એ વિશ્વભરમાંથી ચૂનંદા નિષ્ણાતોની પેનલ પહોંચી હતી. આ પેનલમાં અમેરિકાના ડો. સુઝાન, ભારતના પ્રોફેસર ભૂષણ પટવર્ધન, યુનાઇટેડ નેશન્સના ડો.ઓબી, થાઈલેન્ડના ડો. અંચેલી, બ્રાઝીલના ડો. રિકાર્ડો, ઈરાનના ડો. રોશનક, મલેશિયાના ડો ગોહ ચેન્ગ, સાઉથ આફ્રિકાના ડો. માતસબીશ, જર્મનીના ડો. જયોર્જ સેફર, ન્યુઝિલેન્ડના ડો. સાયોન, ચીનના ડો ચુન-યુનો સમાવેશ થયો હતો.
આ સમિતિએ ઓગસ્ટમાં પ્રસ્તાવિત સમિટના થીમ, ફોર્મેટ, વિષયો અને સંબોધનના મુદ્દાઓ વગેરે બાબતે ચર્ચા વિચારણા કરી હતી. ભારત સરકારના આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચા અને WHO હેડક્વાર્ટરથી ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ પણ વિશ્વભરના પરંપરાગત દવાઓના નિષ્ણાંતો સાથે બેઠકમાં ઉપસ્થિત હતા.