કોઈને સપનેય ખ્યાલ નહીં હશે કે દિવસો એવા પણ હોઈ શકે કે ટામેટાંની દાણચોરી થઈ શકે અને તેના પર આપણાં જવાનોએ ચાંપતી નજર રાખવી પડશે. હકીકતમાં ભારત-નેપાળ બોર્ડર પરથી ચાઈનીઝ ટામેટાં ભારતમાં ઠલવાઈ રહ્યા છે. કેટલાક કિસ્સાઓમાં આ દાણચોરી ઝડપાયા બાદ તેનો ખુલાસો થયો છે. ચીનથી ફક્ત પાંચ રૂપિયે ટામેટાં મળી રહ્યા છે જેનો દેશભરમાં લોકો હાલ 150થી વધુ ભાવ ચૂકવી રહ્યા છે. ટામેટાના ભાવ ક્યારે ઘટી શકે છે તે કહેવું મુશ્કેલ છે કેમકે વરસાદ જ્યાં સુધી એક લાંબો પોરો નહીં લેશે ત્યાં સુધી તો ભાવ કાબૂમાં આવે તેવા કોઈ એંધાણ જ નથી.
ટામેટાંએ જ્યારે ભાવની સદી ફટકારી ત્યારે રસોડાઓમાં હાહાકાર હતો અને મિમ્સ જગત તેની મજા લેવા પર ઉતરી પડ્યું હતું પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે ચંદીગઢમાં આજે ટામેટા 350 રૂ. કિલો અને દિલ્હી નજીકના ગાઝિયાબાદમાં તેની કિંમત 250ને આંબી ચૂકી છે ત્યારે જ તો ચીન બધું છોડીને ટામેટાંની દાણચોરી કરાવવા પાછળ પડી ગયું છે.
દેશમાં હાલ પેટ્રોલ કરતાં વધારે ચિંતા ટામેટાંના ભાવની થઈ રહી છે. સરકાર તેના ભાવ પર અંકુશ મેળવવા યોજનાઓ તો કરી રહી છે પરંતુ ટામેટાં હાલ ગાંઠી નથી રહ્યા. તેના ભાવ રોજ નવી અણધારી ઊંચાઈ પકડી રહ્યા છે.
ટામેટાના ભાવોની વાત કરી એ તો આજે ચંદીગઢમાં 350 રૂપિયા પ્રતિ કિલોના ભાવે લોકો ખરીદી રહ્યા છે વાત ફક્ત ત્યાંની જ નથી ગાઝિયાબાદમાં પણ તેનો ભાવ 250થી ઊપર પહોંચ્યો છે. ગુજરાતના રાજકોટ, સુરત, અમદાવાદ વડોદરા જેવા મહાનગરોમાં એક 180ની આસપાસ વેચાણમાં છે.
સમગ્ર દેશમાં ટામેટાના ભાવ ઊંચાઈ પર છે. ભાવ ઘટવાની વાત તો બીજી તરફ રહી ભાવ રોજ નવા રેકોર્ડ સર્જીને લોકોને તેનો સ્વાદ ભૂલાવી રહ્યા છે આ ટામેટાં. આ સંજોગોનો ગેરલાભ ઊઠાવીને ભારતની નેપાળી સરહદી જિલ્લાના લોકો માટે તો ચીનથી ટામેટાં આવવા લાગ્યા છે. ચોંકાવનારી વાત છે કે, ભારત-નેપાળ સરહદ પરથી ટામેટાંની દાણચોરી થઈ રહી છે.
નો મેન્સ લેન્ડ દ્વારા સીમાંચલના વિસ્તારોમાં કેરેટમાં ભરીને ચીનથી આવતાં ટામેટાં ઝડપાયા બાદ આ વાતનો ખુલાસો થયો છે. નેપાળમાં ચાઈનીઝ ટામેટાંનો ભાવ નેપાળી પાંચ કિલોના એકસો રૂપિયા છે. એ જ કારણ છે કે, એ ભારતમાં 100 રૂપિયા સુધી વેચાય છે. ભારતમાં રોજેરોજ ટામેટાંના ભાવ ઊંચા જઈ રહ્યા હોવાથી ચીન સતત નેપાળમાં ટામેટાં ઠાલવી રહ્યું છે. નેપાળના વેપારીઓને ચીનમાંથી માત્ર પાંચ રૂપિયા પ્રતિ કિલો ટમેટાં મળે છે.
હકીકતમાં એ ચીનની દાંડાઈ જ છે કે, ભારતના સરહદી વિસ્તારો પરથી ચીન સરહદી વિસ્તારોના બજાર પર ચાંપતી નજર રાખે છે. જે પણ માલસામાનની વધુ માંગ કે અછત સર્જાય છે એ સામાન ચીન વાયા નેપાળ ઠાલવવાનું શરૂ કરે છે.