સુરત મનપાની મુખ્ય કચેરી પર રવિવારે માર્શલો અને પોલીસ સાથે આમ આદમી પાર્ટીના નગરસેવકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં આપના નગરસેવકોને માર મારવામાં આવ્યો હતો. તેમજ મહિલા નગરસેવકના કપડા ફાડી નાખવામાં આવ્યા હતા.જેના વિરોધમાં ‘આપ’ના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની આગેવાનીમાં સંખ્યાબંધ કાર્યકરો અને આગેવાનો સોમવારે ભાજપના મુખ્ય કાર્યાલય પહોંચ્યા હતા જ્યાં બન્ને વચ્ચે ઝપાઝપી થઇ હતી.
ભાજપ કાર્યાલય પર આવેલા આપના કાર્યકરોને પોલીસે રોક્યા હતા. પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયાને માર મરાયો હતો અને ગોપાલ ઇટાલીયા સાથે ટપલીદાવ થયો હતો. બન્ને પક્ષના કાર્યકરોએ થયેલી બબાલમાં આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા સહિત 16 સામે ઉધના પોલીસ મથકમાં રાયોટિંગનો ગુનો દાખલ થયો છે.
બીજીતરફ ગઈકાલે સુરતની ઘટનાના ફૂટેજ સાથે આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે ટ્વિટ દ્વારા ઘટનાને વખોડી હતી તો આજે આપના કોર્પોરેટર્સને વ્યક્તિગત રીતે તેમણે પત્ર પાઠવી હિંમત આપી છે. તેમણે ધર્મેશ ભંડારી, મનોજ સોરઠીયા, મહેશ અણઘણ, એડવોકેટ સ્વાતી ઢોલરીયા, નિરાલી પટેલ, પાયલ સાકરીયા સહિત કાર્યકરોને આ પત્ર પાઠવ્યો છે.
આ પત્રમાં જણાવ્યું છે કે, સુરતમાં ભાજપના ભ્રષ્ટાચાર અને ગુંડાગીર્દીની વિરુદ્ધ જનતાની તરફેણમાં તમે સંઘર્ષ કરી રહ્યા છો એ માટે તમને અભિનંદન અને ધન્યવાદ પાઠવું છું. મેં સોશિયલ મિડીયા પર તમારા વિડીયો જોયા. કેવી રીતે પોલીસ તમારા પર દુર્વ્યવહાર કરી રહી છે અને કેવી રીતે તમે વગર હાથ ઉઠાવ્યે અહિંસાત્મક રીતે ભાજપના ખોટા કામોનો વિરોધ કરી રહ્યા છો. ગુજરાતના લોકોને તમારા જેવા દેશભક્ત, ઈમાનદાર અને ઝઝૂમતા યુવાઓ પાસેથી આ જ આશા છે. એક પાર્ટીના આટલા લાંબા શાસનથી ગુજરાતના લોકો તંગ થઈ ગયા છે. ભાજપમાં એટલું વધારે ઘમંડ આવી ગયું છે કે, તેઓ પોતાની સામે બીજાને કંઈ સમજતા જ નથી. ભાજપે લોકોની તકલીફ સાંભળવાની બંધ કરી દીધી છે. તમે સંપૂર્ણ વિનમ્રતા અને સેવાભાવની સાથે હંમેશા આ રીતે જ ઊભા રહેજો, જનતા માટે લડતા રહેજો.