સુરતમાં કોરોનાએ શહેરમાં ફરીથી ધીરે-ધીરે માથું ઉચવાનું શરૂ કર્યું છે. ધીરે-ધીરે કોરોનાના નવા કેસો નોંધાવાના શરૂ થઈ ગયા છે. છેલ્લા 2 દિવસમાં શહેરમાં કોરોનાના વધુ 3 કેસ નોંધાયા છે. તેમાંથી કાપોદ્રાની 60 વર્ષની મહિલાનું મોત નિપજ્યું હતું. અઢી મહિના બાદ સુરતમાં કોરોનાના દર્દીનું મોત થયું છે. 2023નું કોરોનાથી થયેલું આ પ્રથમ મોત છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં નવા 30 કેસ સાથે ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા 136 હોવાનું જાણવા મળી રહ્યું છે તો 2 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે.
સુરતના વરાછા ઝોન હસ્તકના કાપોદ્રા વિસ્તારમાં 60 વર્ષિય વૃદ્ધાનું કોરોનાના કારણે મોત થયુ છે. મૃતક વૃદ્ધા કોરોના ઉપરાંત અન્ય ગંભીર બીમારીથી પણ પીડાતી હોવાની હિસ્ટ્રી ધરાવતા હતા. તબીબોના કહેવા પ્રમાણે, તેમને 12 દિવસથી શ્વાસ લેવામાં તકલીફ અને પગમાં સોજા આવતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ જણાયા બાદ વધુ સારવાર મળે એ દરમિયાન તેમનું હોસ્પિટલમાં મોત નિપજ્યું છે. તેમના સંપર્કમાં આવેલા ઘરના 7 સભ્યોના ટેસ્ટ કરાયા હતા જેનો રિપોર્ટ નેગેટિવ હોવાનું તબીબી સુત્રોએ ઉમેર્યું હતું.
એક અન્ય કેસમાં ઘોડદોડ રોડ પર રહેતા 86 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હોવાની વિગતો મળી છે. આ દર્દીને ત્રણ દિવસથી શરદી,ખાંસી, તાવ અને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. પ્રાઇવેટ હોસ્પિટલમાં કોવિડનો ટેસ્ટ કરાવતાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓને ડાયાબિટીસ,બ્લડ પ્રેશર જેવી બીમારી છે. તેઓ હાલ પ્રાઈવેટ હોસ્પિટલમાં આઇસોલેશનમાં સારવાર હેઠળ છે. દર્દીના સંપર્કમાં આવેલા 8 સભ્યોના ટેસ્ટ કરાયા હતા. જેના રિપોર્ટ પેન્ડિંગ હોવાનું તબીબોએ જણાવ્યું છે. રાજ્યભરમાં પણ હોળી-ધૂળેટીના તહેવારો બાદ સ્થિતિ ચિંતા ઊભી કરે તેવી છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 30 કેસ નોંધાયા હતા. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 136 હોવાનું જાણવા મળે છે. આ પૈકી 2 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે.