અલથાણ-કેનાલ રોડ પર રહેતા મહિલા તબીબને ભટકાયેલા ત્રણ બોગસ તબીબો પોલીસના હાથે ચડી ગયા છે. માતાની ઘુંટણની સારવાર કરવાના બહાને પહોંચેલા ત્રણ નકલી તબીબોએ ઘુંટણની સારવારના બહાને 6 લાખ પડાવી લેવા કાવતરું ઘડી 1 લાખ પડાવી પણ લીધા હતા. બાકીના 5 લાખ માટે ધાકધમકી આપતાં પોલીસ હરકતમાં આવી હતી. મહિલા તબીબે જાણ કરી આ ત્રણેય ઠગોએ જેલભેગા થવાનો વારો આવ્યો છે. આ ત્રિપુટી ખાસ કરીને અલથાણ, ભટાર અને ઘોડદોડ રોડ પર મોર્નિંગ કરનારા લોકો પર વોચ રાખતાં હતા અને ચાલવામાં તકલીફ દેખાય તેવા લોકોને વાતોમાં ભોળવી તેમની ઠગાઈનો ભોગ બનાવતી હતી. ત્રણેય ઠગોએ આ રીતે અનેકને છેતર્યા હોવાની પોલીસને શંકા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, અલથાણ કેનાલ રોડ સ્થિત આકાશ ઈકો પોઈન્ટમાં રહેતા અને વ્યવસાયે ફિઝિયોથેરાપીસ્ટ દિનાબેન યોગેશ પટેલ ગત 22 તારીખે માતા સાથે ઓક્સિજન પાર્ક ગાર્ડન ખાતે જતા હતા. એ સમયે વેકેન્ઝા એપાર્ટમેન્ટની સામે રોડ પર એક અજાણ્યો ઉભો હતો. જેણે ‘આન્ટી તમારા ઘુંટણમાં તકલીફ છે. મારી મમ્મીને પણ આવી તકલીફ હતી અને વગર ઓપરેશને સારું કરી આપ્યું હતું’ એમ કહી વાતો શરૂ કરતાં દિનાબેને તેમની માતા વિશે આશાનું કિરણ જાણી ડોક્ટર વિશે ઈન્કવાયરી કરતાં પેલા યુવકે તેમને માતાનો નંબર આપ્યો હતો.
દીનાબેને આ યુવકની માતા તરીકે ઓળખાયેલા આરતીબેનને કોલ કરતાં તેમણે ડો. આર. મર્ચંડનો નંબર આપ્યો હતો. દિનાબેને આ નંબર પર વાત કર્યા બાદ મંગળવારે મહંમદ ગની અને આસિફ હાફીઝ નામના બે વ્યક્તિ તેમના ઘરે આવ્યા હતા. હાફીઝ ગનીએ પોતાની ઓળખ ડોક્ટર તરીકે અને આસિફે તેની ઓળખ એક ખેડુત તરીકે આપી હતી. બંનેએ દિનાબેનની માતાના ઘુટણ તપાસી બેગમાંથી બ્લેડ અને પિત્તળની ભુંગળી કાઢી ઘુંટણની કથિત સારવાર શરૂ કરી હતી. તેઓનું કહેવું હતું કે, ઘુંટણમાં કચરો જમા થયો હોવાથી એ નીકળતાં જ તેમને સારું થઈ જશે અને એ માટે તેમણે સારવારના 6 લાખ થતાં હોવાનું જણાવ્યું હતું. દિનાબેને તેમની પાસે 1 લાખ રૂ જ છે તેમ કહેતા જ બંનેએ એ નાણાં તેમના હાથમાંથી આંચકી લેતાં વધુ 5 લાખ માટે ગાળાગાળી શરૂ કરી દીધી હતી. દિનાબેને હિમ્મતથી કામ લઈ તરત પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતાં અલથાણ પોલીસ ત્યાં પહોંચી હતી.
પોલીસે આ ઘટનામાં ત્રણેય ઈસમોની ધરપકડ કરી ઠગ તપાસ શરૂ કરતાં અન્ય આ રીતે છેતરાયા હોય તેવા ફરિયાદીઓની પણ લાઇન લાગવા માંડી હતી. પોલીસના જણાવ્યા મુજબ, આ ગેંગની મોડ્સ ઓપરેન્ડી જ હતી કે મોર્નિંગ વોકમાં નીકળતા એવા વૃદ્ધોને શિકાર બનાવતા હતા જેઓ માંડ માંડ ચાલી શકતા હોય. આ ઠગોએ માત્ર અલથાણ-કેનાલ રોડના પોશ વિસ્તારમાં જ 6 થી 7 લોકોને આ રીતે છેતર્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે એટલું જ નહીં શહેરના ભટાર-ઘોડદોડ-પીપળોદ સહિતના લોકોને પણ નિશાન બનાવ્યા હોવાની જાણકારી મળતાં તેઓની વધુ તપાસ હાથ ધરાઈ રહી છે પોલીસે ગુજરાત બ્રેકિંગના માધ્યમથી આ રીતે ભોગ બનેલા લોકોને ફરિયાદ માટે આગળ આવવા અપીલ કરી છે.