કેન્દ્રીય સીધા કરવેરા બોર્ડ દ્વારા ચાલુ નાણાંકીય વર્ષ માટે નવું આવકવેરા ફોર્મ જારી કરી દેવામાં આવ્યું છે. બે મહિના પૂર્વે નોટિફાઇ કરાયેલા ફોર્મમાં ખાસ મોટા ફેરફારો કરવામાં આવ્યા નથી. સામાન્ય રીતે કેન્દ્ર સરકાર નાણાંકીય વર્ષના અંતે અથવા નવા નાણાંકીય વર્ષના પ્રારંભે આવકવેરા રિટર્ન ફોર્મ નોટિફાઇ કરતું હોય છે. વ્યકિતગત કરદાતા માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની મુદત 31 જુલાઇ નિયત કરવામાં આવતી હોય છે.
આવકવેરા રિટર્ન-1 ફોર્મ ફાઇલ કરવાના માપદંડમાં પણ કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. આવકવેરા રિટર્ન ફોર્મ-1 સહજ તરીકે પણ ઓળખાય છે અને 50 લાખથી ઓછી આવક ધરાવતા વ્યકિતગત કરદાતાઓ માટે હોય છે અને આવકનો સ્ત્રોત પગાર ઉપરાંત એક મિલકત અને વ્યાજ, ડિવિડન્ડ વગેરેનો હોય છે. પાંચ હજાર સુધીની કૃષિ આવક પણ તેમાં સમાવેશ કરી શકાય છે. કંપનીમાં ડાયરેક્ટર અથવા અનલિસ્ટેડ ઇક્વીટી શેર ધરાવતા કરદાતા આ ફોર્મ ભરી શકતા નથી. હિન્દુ અવિભાજય પરિવાર પણ આ ફોર્મ ફાઇલ કરી શકતો નથી.