રખડતા ઢોર અંગેનો કાયદો રદ કરવા ગુજરાત વિધાનસભાનું એક દિવસીય સત્ર બોલાવવામાં આવે અથવા તો લેખિતમાં કાળો કાયદો રદ કરશે તેવી સરકાર તરફથી બાંહેધરી મળે એવી સ્પષ્ટ માંગણી સાથે રાજ્યના માલધારી સમાજે સોમવારથી રાજ્યવ્યાપી આંદોલન છેડવાની જાહેરાત કરી છે. લડતની શરૂઆતમાં માલધારી સમાજ સોમવારે સમગ્ર રાજ્યમાં કલેક્ટર ઓફિસે ધરણાં કરશે અને મંગળવારે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસ આંદોલન કરશે. માલધારી સમાજે આ સાથે જ લડતને વધુ ધારદાર બનાવવા ગ્રુપ મિટીંગો અને ખાટલા બેઠકો ગામેગામ રાજ્યમાં આયોજન કરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
રસ્તે રખડતા ઢોર અંગેના બિલને મુખ્યમંત્રીએ હાલ પૂરતું મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. પરંતુ માલધારી સમાજની માંગ છે કે, આ બિલને વિધાનસભામાં રદ કરવામાં આવે.સરકારની જાહેરાત ફક્ત ચૂંટણી પૂરતી સિમિત રહી શકે છે તવી શંકા માલધારી સમાજે વ્યક્ત કરી છે. સરકારની આ છેતરાપિંડી સામે તેઓ કાયમી રક્ષણ માંગી રહ્યા છે.
ગુજરાત માલધારી મહાપંચાયતનાં પ્રવક્તા નાગજીભાઈ દેસાઈએ જણાવ્યું કે તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા 156 નગરપાલિકા અને 8 મહાનગર પાલિકામાં ગાયો અને ગોવાળોનાં સામે કાળો કાયદો લાવવાની હિલચાલનો માલધારી સમાજ કડક વિરોધ કરે છે. 18મી એપ્રિલે ગુજરાત માલધારી મહાપંચાયતે સમગ્ર ગુજરાતની કલેક્ટર કચેરીઓ ખાતે સવારે 11 વાગે ધરણા કરવાની હાંકલ થઈ છે. માલધારી સમાજ એક થઈને આ લડતમાં સાથ આપે એ માટે રાજ્યભરમાં ગ્રુપ મિટીંગો અને ખાટલા બેઠકો પણ યોજાઈ રહી છે. ગુજરાતમાં 18 એપ્રિલે ધરણા તેમજ 19મીએ ગાંધીનગર માલધારી સમાજ ઉપવાસ પર બેસશે. આ કાર્યક્રમ બાબતે પોલીસ સમક્ષ લેખિતમાં પરમીશન માંગવામાં આવી છે.