વડોદરાની MS યુનિવર્સિટીમાં મારામારી અને છેડતી મામલે તપાસ કમિટીના તારણો બાદ 5 વિદ્યાર્થીઓને સસપેન્ડ કરવામાં આવ્યા છે. એમ.એસ.યુનિવર્સિટીમાં છેડતી અને મારામારીની ઘટનાઓ બાદ સાત સિન્ડિકેટ સભ્યોની એક કમિટિ બનાવવામાં આવી હતી. કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવાયો હોવાની જાહેરાત કરવામાં આવી છે.
યુનિવર્સિટી સુત્રોના જણાવ્યા મુજબ, સાત સિન્ડિકેટ સભ્યોની કમિટીમાં પહેલી બેઠકમાં મારામારી અને છેડતીની ઘટનામાં સંડોવાયેલા પાંચ વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે. સસ્પેન્ડ કરાયેલા વિદ્યાર્થીઓમાં કોમર્સ ફેકલ્ટીના અબુ તાલીબ પઠાણ, રિયાન કય્યુમ પઠાણ, અને શાહીદ મુસ્તકીન શેખનો સમાવેશ થાય છે. આ ત્રણ વિદ્યાર્થીઓ સામે વિદ્યાર્થિનીએ સયાજીગંજ પોલીસ મથકે છેડતીની ફરિયાદ આપતા ગુનો દાખલ થયો હતો. આ ઉપરાંત ડીએન હોલ મેદાન પાસે એક વિદ્યાર્થી પર માથામાં ફટકા મારી હુમલો થયો હતો. મારામારીની આ ઘટનામાં પણ કોમર્સ ફેકલ્ટીના જ બે વિદ્યાર્થીઓ કરણ ચૌહાણ અને વાસુદેવ સુથારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
જોકે, સંસ્કૃત ડિપાર્ટમેન્ટની બહાર નમાઝ પઢવાની ચકચારી ઘટનામાં હજી યુનિવર્સિટી તરફથી કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી. સત્તાધિશોનું કહેવું છે કે, વિદ્યાર્થીઓનો ઈરાદો શું હતો તે જાણવાનો પહેલા પ્રયત્ન કરાશે ત્યારબાદ કસૂરવાર ઠરે તો ચોક્કસ જ કડક હાથે પગલાં લેવાશે.