ગુજરાતનું સર્વોચ્ચ સહકારી માર્કેટિંગ સંઘ ગુજકોમાસોલ રવિવારથી તેના સૌથી અદ્યતન ભવનમાં કાર્યરત થશે.
રવિવારે ગાંધીનગરમાં એક ભવ્ય સમારોહ થકી કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે શ્રી ત્રિભુવનદાસ પટેલ સહકાર ભવનનું તા. 10 એપ્રિલે બપોરે 3 કલાકે લોકાર્પણ થશે.
આ ગૌરવશાળી પ્રસંગે આયોજીત પ્રસંગે ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ, સહકાર મંત્રી જગદીશ પંચાલની વિશેષ ઉપસ્થિતિ રહેશે. આ ઉપરાંત રાજ્યકક્ષાની તમામ સહકારી સંસ્થાઓના ચેરમેન, ડાયરેક્ટર અને રાજ્યના અગ્રણી સહકારી આગેવાનો તેમજ આમંત્રિતોની ઉપસ્થિતિ પ્રેરક રહેશે.
ગુજકોમાસોલના ઉદઘાટન અંગે ચેરમેન દિલીપ સંઘાણીના ભાવભીના નિમંત્રણનો કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહે સ્વીકાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના આ સર્વોચ્ચ સહકારી માર્કેટિંગ સંઘની સ્થાપના ત્રિભુવનદાસ પટેલે 1960માં કરી હતી.