દિલ્હીના વિખ્યાત કુતુબ મિનારના સંકુલમાં ગણેશની જે બે મૂર્તિઓ બિરાજમાન છે તેને હવે નેશનલ મ્યુઝીયમમાં ફેરવવાની દરખાસ્ત છે. વિઘ્નહર્તાની આ બંને મૂર્તિઓની વાત કરીએ તો, કુતુબ મિનાર પાસેની કવ્વાલ ઉલ ઇસ્લામ મસ્જીદ નજીક દક્ષિણ દિશામાં મસ્જીદની દિવાલ તરફ ગણેશજીનું મોઢુ છે તેથી તેને ઉલ્ટા ગણેશ તરીકે ગણવામાં આવે છે. જ્યારે બીજી ગણેશજીની મૂર્તિ જમીન પર છે અને તેની આસપાસ લોખંડનું પાંજરું બનાવાયું છે. એટલે તેને પાંજરામાં રહેલા ગણેશ તરીકે ઓળખાય છે.
રજૂ થયેલી દરખાસ્તમાં ગણેશજીની મૂર્તિ માટે કુતુબ મિનાર એ યોગ્ય સ્થાન ન હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા હેઠળ કામ કરતી ધ નેશનલ મોન્યુમેન્ટ ઓથોરિટીએ કુતુબ મિનારમાંથી આ બે મૂર્તિઓને સન્માનજનક સ્થળ મળે એ માટે સૂચવ્યું છે. આ માટે નેશનલ મ્યુઝીયમ યોગ્ય સ્થાન હોવાનું પણ જણાવાયું છે.
આર્કોલોજીકલ સર્વેને એક લેખીતપત્રમાં ઓથોરિટીએ આ નિર્દેશ આપ્યો હતો. નેશનલ મ્યુઝીયમ એ દેશની પ્રાચીન વિરાસતના ખાસ સંગ્રહ સ્થળ છે અને દર વર્ષે લાખો લોકો તેની મુલાકાતે આવે છે. રાજ્યસભાના એક પૂર્વ સભ્ય અને નેશનલ મોન્યુમેન્ટ ઓથોરિટીના ચેરમેન તરુણ વિજયે સ્વીકાર્યું કે તેમના તરફથી આ પત્ર મોકલવામાં આવ્યો છે. મેં કુતુબ મિનારની અનેક વખત મુલાકાત લીધી અને આ સમયે જોયું કે ગણેશજીની જે મૂર્તિ છે તે સન્માનીય સ્થળે નથી. મસ્જીદની મુલાકાતે આવનાર વ્યક્તિઓ તેની આસપાસ પગપાળા ફરતા હોય છે જેના કારણે ભગવાનની મહિમાનો પ્રશ્ન આવે છે એટલે અમે તેને નેશનલ મ્યુઝીયમમાં ફેરવવાની દરખાસ્ત કરી છે.
ભુતકાળમાં આ રીતે ઇન્ડિયા ગેઇટ પાસેની બ્રિટીશ મહારાજા અને મહારાણીની પ્રતિમા પણ બીજે લઈ જવાઈ હતી. બંને મૂર્તિઓ ઉલ્ટા ગણેશ અને ગણેશ ઇન કેઇજ તરીકે ઓળખાય છે અને તે કમ્પાઉન્ડમાં રાખવામાં આવી છે. 12 સદીનું આ સ્મારક યુનેસ્કોમાં 1993માં વર્લ્ડ હેરીટેજ સાઇટ તરીકે જાહેર કર્યું હતું.