તા. 2 એપ્રિલ શનિવારથી તેલુગુ નવું વર્ષ શરૂ થશે. જેને તેલુગુ ભાષામાં યુગાદી નામથી ઓળખવામાં આવે છે. યુગાદી એટલે યુગ “યુગ” અને આદિ “નવી શરૂઆત”. ઉગાડી સમગ્ર દક્ષિણમાં નવા વર્ષ તરીકે ઉજવાય છે. હિન્દૂ સંસ્કૃતિ અનુસાર, પ્રથમ યુગ “સતયુગ” ની શરૂઆત આ તિથીથી થઈ હતી.
આ પર્વને તેલુગુવાસીઓ ખૂબ ઉત્સાહ-ઉમંગ સાથે વિશિષ્ટ રીતે ઉજવણી કરે છે. સખત મહેનતું આ તેલુગુ સમાજ દુનિયાના કોઈપણ ખૂણે વસવાટ કરતો હોય, આ મુખ્ય તહેવારની ઉજવણીમાં કોઈ કચાશ નથી રાખતો.
આ પર્વે લીમડાના ફૂલ, આમલી, ગોળ, કેરી વગેરે મિશ્રિત યુગાદી પચ્ચડી બનાવવામાં આવે છે. આ આરોગ્યપ્રદ અને સ્વાદીષ્ટ વાનગી પ્રસાદરૂપે આવી એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવે છે. સુરતમાં વસતો વિશાળ તેલુગુ સમાજ વર્ષોથી આ દિવસની ઉજવણી ખુબ જ સરસ રીતે કરે છે.
આ દિવસે સુરતમાં વસતા તેલુગુ સમાજના લોકો લિંબાયત પ્રતાપનગર સ્થિત માર્કંડેશ્વર મહાદેવ મંદિરમાં એકત્રિત થાય છે. મંદિરમાં ભક્તિમય હર્ષોલ્લાસ સાથે પુજા-અર્ચના સાથે જ્યોતિષ દ્વારા નવા વર્ષના દેશ-દુનિયાના ભવિષ્ય સાથે પોતાના અને સ્વજનોના રાશિફળની જાણકારીને શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કરે છે.
સમસ્ત તેલુગુ સમાજના લોકોને સમાજના મહિલા શ્રેષ્ઠી માજી કોર્પોરેટર લક્ષ્મીબેન રાપોલું, સુરત તેલુગુ આદર્શ મિત્ર મંડળના પ્રમુખ ગોને સોમૈયા, મહામંત્રી રાપોલુ બુષ્ટિરામુલું, માર્કંડેય પદમશાળી સમાજના પ્રમુખ દાસરી શ્રીનિવાસ, મહામંત્રી વેન્નમ્ શ્રીરામુલું અને અગ્રણી ઉપેન્દ્ર દુસ્સા, રમેશ તુમ્મા, સૂર્યનારાયણ દાસરી, શ્રીનિવાસ યેલગમ્, મછા વિરન્ના, પ્રકાશ ચિદરાલા, નરસી હરિકાળ, ગૌરી યતિરાજમ્, કામપુરી ગોપાલ, શ્રીનિવાસ કુસુમ, રામુ ચિટ્યલા, શ્રીનિવાસ કોદુમ્બરી, પ્રભાકર કુરપાટી વગેરેએ યુગાદીની શુભેચ્છા પાઠવી છે.