સ્ટેટ જીએસટીની એન્ફોર્સમેન્ટ વિંગ દ્વારા 101 જેટલા પેટ્રોલ પંપો ઉપર કરચોરી અંગે રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં અત્યાર સુધીની તપાસ દરમ્યાન તંત્રએ કરચોરી પેટે રૂા. 6.01 કરોડની વસુલાત કરી છે. ઉલ્લેખનીય છે કે જીએસટી વિભાગને સિસ્ટમ બેઝ એનાલીસીસ વખતે ધ્યાનમાં આવ્યું હતું કે પેટ્રોલ પંપ સંચાલકો દ્વારા વેટ ભરવામાં વ્યાપક ગેરરિતીઓ આચરવામાં આવી રહી છે.
ગુજરાતના 100થી વધુ પેટ્રોલ પંપ ઉપર તા. 22થી ચકાસણી શરૂ થઈ હતી. પેટ્રોલમાં સમયાંતરે રિટેઈલ સેલ્સ પ્રાઇઝમાં ફેરફાર થતા હોય છે. રિટેલ સેલ્સ પ્રાઇઝમાં થતા આ ફેરફાર મુજબ પેટ્રોલ પંપ સંચાલકોએ વેરો ભરવાનો હોય છે.
મોટાભાગના સંચાલકો દ્વારા રિટેલ સેલ્સ પ્રાઈઝમાં થતા ફેરફારો મુજબ વેરો ભરવામાં ગોટાળા કરી રહ્યા હોવાનું ધ્યાન પર ચડતાં આ કાર્યવાહી શરૂ થઈ હતી. આ કેસોમાં ચકાસણી દરમિયાન જે વિસંગતતાઓ મળી એ મુજબ, કુલ 22.61 કરોડનું વેરાકીય ઘપલું બહાર આવ્યું છે. જીએસટી વિભાગે 6.01 કરોડની સ્થળ ઉપર જ વસૂલાત કરી છે. આ કેસો પૈકીના કેટલાક કેસોમાં હિસાબી સાહિત્ય-ડેટા મેળવવામાં આવેલ છે જેની ચકાસણીમાં વેરાની રકમ ખાસ્સી વધી શકે છે.
જીએસટી તંત્રના જણાવ્યા મુજબ, અમદાવાદમાં 14, સાબરકાંઠામાં 11, બનાસકાંઠામાં 7, કચ્છમાં 6, અમરેલીમાં 5, સુરેન્દ્રનગરમાં 5, વડોદરામાં 5, દાહોદ, ગાંધીનગર, ખેડામાં ચાર-ચાર આણંદ, ભરુચ, પાટણ, વલસાડમાં ત્રણ-ત્રણ ભાવનગર, ગોધરા, જામનગર, જૂનાગઢ, સુરત, વિસનગરમાં બે-બે પેટ્રોલ પંપ અને ભુજ, ડાંગ, ડિસા, મહેસાણા, મુંદ્રા, નવસારી, પાલનપુર, સાગબારા, સિધ્ધપુર, વડગામ, વડનગર તથા વિજાપુરમાં એક-એક પેટ્રોલ પંપો ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા.