રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ‘વિશ્વ આદિવાસી દિવસ’ની સુરત જિલ્લાના માંડવી તાલુકા મથકે રિવર ફ્રન્ટ પર સૂર્યપુત્રી તાપી નદીના કાંઠે માર્ગ અને મકાન મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીના અધ્યક્ષસ્થાને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આદિવાસીબંધુઓ પરંપરાગત વેશભુષામાં સજ્જ થઈને નૃત્ય ગાન, વાજિંત્રોની સુરાવલિઓ સાથે રંગેચંગે ઉજવણીમાં સામેલ થયા હતા.
મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે, આઝાદીની લડતમાં આદિવાસી બાંધવોનું અમૂલ્ય યોગદાન રહ્યું છે. આદિવાસી સંસ્કૃતિનું જતન અને સંવર્ધન થાય તે માટે સરકાર સક્રિય પ્રયાસો કરી રહી છે. આદિજાતિ વિસ્તારના લોકોને માળખાકીય સુવિધાઓ સહેલાઈથી મળી રહે તે આ સરકારની પ્રાથમિકતા છે.
સામાજિક, આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રે સર્વાંગી વિકાસની દિશામાં આદિજાતિ સમુદાયે નવા આયામો સિદ્ધ કર્યા છે એવો ઉલ્લેખ કરતા પૂર્ણેશભાઈએ જણાવ્યું કે, રાજ્ય સરકારે આદિવાસી સમાજના સમગ્રત્તયા વિકાસનો અભિગમ અપનાવી ગુણવત્તાસભર શિક્ષણ, કૌશલ્યવર્ધન સાથે રોજગારી તથા આરોગ્યની પર્યાપ્ત સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. આદિવાસી વિસ્તારના સર્વાંગી વિકાસ માટે રોડ-રસ્તા, સિંચાઈ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું પાણી વગેરે પાયાની સગવડો માટેના કામો ઠેર ઠેર દેખાઈ આવે છે. આદિવાસી બાળકો ભણી ગણીને ઉચ્ચ કારકિર્દી બનાવે અને અન્ય વિકસિત સમાજની હરોળમાં સ્થાન મેળવે તે માટે પોસ્ટ મેટ્રીક, પ્રિ-મેટ્રીક શિષ્યવૃત્તિઓ, એકલવ્ય મોડેલ સ્કુલો, સમરસ છાત્રાલયો જેવી અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, દેશના સર્વોચ્ચ અને સંવૈધાનિક પદ પર આદિવાસી દીકરી દ્રૌપદી મુર્મજીને રાષ્ટ્રપતિપદે આરૂઢ થયા એ દેશમાં વસતા દરેક આદિવાસી નાગરિક માટે ગૌરવની ક્ષણ છે. સૌને સમાન તકો અને સૌને સમાન દરજ્જો એ અમારૂ મુખ્ય ધ્યેય છે એ દ્રૌપદીજીની સિદ્ધિ પરથી પ્રમાણિત થાય છે.
પૂર્ણેશભાઈએ કહ્યું કે, આદિવાસી વિસ્તારોમાં વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત આરોગ્ય, માર્ગ, સિંચાઈ માટે પાણી, શિક્ષણ જેવી પાયાની જરૂરિયાતો ગુજરાતની વિકાસને વરેલી સરકારે પૂરી પાડી છે. આઝાદીની ચળવળમાં આદિવાસી સમાજ ઉજ્જવળ ઈતિહાસ ધરાવે છે.
આ પ્રસંગે સાસંદ પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે,’આદિવાસી સમાજ પ્રકૃતિ સાથે જોડાયેલો, પ્રકૃતિ સાથે એક અનેરો સંબધ ધરાવતો સમાજ છે. આદિવાસી સમાજના ઉત્થાન માટે સરકારના આદિજાતિ વિકાસ વિભાગની અનેકવિધ યોજનાઓનો બહોળો લાભ લેવા તેમણે સૌને અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને દાહોદ જિલ્લામાં આયોજિત વિશ્વ આદિવાસી દિવસના રાજયકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું.
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે આદિવાસી વિસ્તારના લાભાર્થીઓને વેલાવાળા શાકભાજી, મકાન સહાય યોજના, હળપતિ ગૃહ આવાસ નિર્માણના મંજૂરીપત્રો, માનવગરિમા યોજના, કુંવરબાઈનું મામેરૂ યોજના હેઠળ સહાયના ચેકો, આદિવાસી ખેડૂતોને ફળાઉ આંબાની કલમોનું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત આદિવાસી સમાજના વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત વિદ્યાર્થીઓ, કલાકારો, રમતવીરો, શ્રેષ્ઠ પશુપાલકો, ખેડૂતોને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ રેખાબેન વશી, જિલ્લા ક્લેક્ટર આયુષ ઓક, જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવી, જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ સંદિપ દેસાઈ ઉપરાંત મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ- બહેનો ઉપસ્થિત હતા.