નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ અહીં એક વિશેષ અદાલતને જણાવ્યું હતું કે અમરાવતી ફાર્માસિસ્ટની હત્યાના સંબંધમાં ધરપકડ કરાયેલા બે નવા આરોપીઓ હત્યાની ઉજવણી માટે આયોજિત “બિરયાની પાર્ટી”માં હાજર હતા. NIAએ અમરાવતીના ફાર્માસિસ્ટ ઉમેશ કોલ્હેની હત્યાના સંબંધમાં વધુ બે લોકોની ધરપકડ કરી છે.
અમરાવતીથી ધરપકડ કરાયેલા આરોપી મૌલવી મુશ્ફિક અહેમદ (41) અને અબ્દુલ અરબાઝ (23)ની કસ્ટડીની માગણી કરતી વખતે NIAએ આ આક્ષેપો કર્યા હતા. આરોપીઓને વિશેષ ન્યાયાધીશ એકે લાહોટી સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જેમણે તેમને 12 ઓગસ્ટ સુધી NIA કસ્ટડીમાં મોકલી દીધા હતા.
તપાસ એજન્સીએ કોર્ટને માહિતી આપી હતી કે બંનેએ ગુનો કર્યા બાદ અન્ય આરોપીઓને કથિત રીતે આશ્રય આપ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, મૌલવી મુશ્ફિક અહેમદ અને અબ્દુલ અરબાઝે હત્યા માટે પૈસા ભેગા કર્યા હોવાની અને અન્ય આરોપીઓને આશ્રય આપ્યો હોવાની શંકા છે. બુધવારે વધુ બેની ધરપકડ કરવામાં આવ્યા બાદ આ કેસના સંબંધમાં અત્યાર સુધીમાં નવની ધરપકડ કરવામાં આવી છે.
NIAએ દાવો કર્યો હતો કે હત્યાની ઉજવણી માટે “બિરયાની પાર્ટી”નું આયોજન કરવામાં આવ્યું હતું અને તે જ પાર્ટીમાં મુશ્ફિક અને અબ્દુલ હાજર હતા. એજન્સીનો આરોપ છે કે મુશ્ફીકે હત્યા બાદ કથિત માસ્ટરમાઇન્ડ શેખ ઈરફાન સાથે ફોન પર વાત પણ કરી હતી. જ્યારે અબ્દુલ ઈરફાન દ્વારા ચલાવાતી સંસ્થામાં ડ્રાઈવર તરીકે કામ કરતો હતો. હત્યાનો કથિત સૂત્રધાર ઈરફાન રહેબર હેલ્પલાઈન નામની સ્વૈચ્છિક સંસ્થા ચલાવતો હતો.
ગયા મહિને એનઆઈએએ કોર્ટને કહ્યું હતું કે આરોપીઓ આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હોવાનું દર્શાવવાના આધારો છે. એજન્સીએ કહ્યું કે આરોપીની કોલ્હે સાથે કોઈ અંગત દુશ્મની નથી, પરંતુ તેમનો ઈરાદો લોકોને આતંકિત કરવાનો હતો. NIAએ કહ્યું કે આવો જ ગુનો અન્યત્ર પણ બન્યો છે. શર્માને સમર્થન આપવા બદલ એજન્સી ઉદયપુરમાં દરજીની હત્યાનો હવાલો આપી રહી હતી. તેણે કોર્ટને કહ્યું કે આ એક ઊંડું કાવતરું હતું.