દેશમાં મોંઘવારી, બેરોજગારી, જીએસટી સહિત અગણિત મુદ્દાઓ છે જેના પર એક તંદુરસ્ત ચર્ચા-વિચારણા થાય અને તેના નિરાકરણ માટેના રસ્તાઓ પર આગળ વધી શકાય. સરકાર તરફથી ઘણા એવા નવા પ્રસ્તાવો મૂકવામાં આવે, નવા ખરડાઓ અને અઢળક નવા કામો હોય છે જેના પર અમલીકરણ માટે સંસદના વિવિધ સત્ર બોલાવવામાં આવે છે. પરંતુ પ્રજાની નજરો સામે સરકાર કોઈપણ હોય, વિપક્ષ કોઈપણ હોય એક નજારો સામે આવે છે કે. સત્ર શરૂ થાય બરાબર એ દિવસે કોઈને કોઈ એવો વિવાદ ઊભો થાય કે બધા ખરડા, કામ, પ્રસ્તાવો બાજૂએ મૂકાઈ જાય અને વિવાદનો હંગામો સૌની ચર્ચાનો વિષય બની રહે. અંતે સત્ર માટે નિયત મુદ્દાઓ અને કામો અટવાઈ રહે.
પાર્લામેન્ટ મોન્સુન સત્ર-2022 શરૂ થાય એ પૂર્વે જ આ મોડસ ઓપરેન્ડીનું ભોગ બની ગયું. વિવાદની વાત કરીએ એ પહેલા થોડું જેના કારણે વિવાદ થયો છે એ અધીર રંજન ચૌધરી અંગે જાણીએ, રાષ્ટ્રપતિને રાષ્ટ્રપત્ની કહી હંગામો ઊભો કરાવનાર અધીર રંજન 1996થી ચૂંટણી જીતતા આવ્યા છે. પશ્ચિમ બંગાળના એ એક પાકટ નેતા છે. ખાસ કરીને રેલવે તંત્ર પર તેમની સારી પકડ છે અને એ ક્ષેત્ર માટે તેમણે અનેક પદભાર સંભાળી કામ કર્યા છે. 2012માં મનમોહનસિંહ સરકારમાં તેઓ રેલ રાજ્યમંત્રી રહી ચૂક્યા છે. આ ઓળખ એટલા માટે અહીં પ્રસ્તુત છે કે આ નેતા રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપત્ની એવા શબ્દોના ગોટાળા કરે એ કાળે વાત સ્વીકારી શકાય એમ જ નથી અને ત્યારે જ્યારે રાષ્ટ્રપત્ની જેવો કોઈ શબ્દ જ ન હોય તો એ કેવી રીતે કોઈની જીભ પર ચડી જ શકે. આ પ્રથમ વખત નથી કે કોઈને ગળે ન ઉતરે તેવા ગોટાળા સંસદસત્ર શરૂ થાય એ દિવસે સર્જાય અને તેના વિવાદમાં સત્રની કાર્યવાહી ખોરવી સરકારના કામ ખોરંભે ચડાવાય.
કામ ખોરંભે ચડાવવા પાછળ પણ તમને જણાવી દઈએ કે, એ ફક્ત વિપક્ષની દાંડાઈ કે દાદાગીરી નથી હોતી. આ એક સૂનિયોજિત કાવતરાં હોય છે જે કરોડો રૂપિયાના કૌભાંડ તરફ દોરતાં હોય છે, વાત કદાચ ગળે ઉતરવી અઘરી લાગતી હશે પરંતુ હકીકત છે એટલે જ આવા પ્રકરણોમાં કોણે શું કહ્યું, માન-અપમાન અને માફી જેવા સેન્ટિમેન્ટ્સ પર વિચારવા કે હંગામો કરવાને બદલે પ્રજાએ એક આંદોલન છેડવું જોઈએ કે, તપાસ કરો, માની જ ન શકાય તેવા અધીર રંજનના નિવેદન પાછળ કોનો હાથ છે. કોણ તત્વો છે જેમને સંસદો બરાબર એક દિવસ પૂર્વે જ ભડકો થાય એવા નિવેદનો કરે તેમાં રસ છે. સંસદની કાર્યવાહી ખોરવવાથી કોને ફાયદો થાય છે અને પોતાની પ્રતિષ્ઠા દાવ પર મૂકીને પણ રાજકારણી આવા વિવાદો ઊભા થાય તેવા શબ્દો ઉચ્ચારીને તેની અવેજમાં શું મેળવી રહ્યા છે. કેમકે આ દર સત્રમાં થતું આવ્યું છે. શક્ય છે ફક્ત નિવેદન આપનાર નેતા જ નહીં, વિરોધ ઉગ્ર દેખાય અને કામગીરી પરથી લોકોનું ધ્યાન હટે એ માટે વિરોધ કરતાં નેતાઓને પણ આ તત્વોના આશીર્વાદ મળતાં હોય. ટુંકમાં કહીએ તો રાજકારણીઓ સકારાત્મક કે હીતમાં હોય તેવી નકારાત્મક રાજનીતિને બદલે કોઈક કોર્પોરેટ હાઉસ કે કોઈ મોટા માથાઓના સ્વાર્થને પોષવા ન માન્યમાં આવે તેવા શબ્દોના ભવાડામાં દેશને ઉલ્ઝાવી ખેલ કરી રહ્યા છે એ ક્યાંક ઉઘાડો પડે એ જરૂરી છે.