કોરોના રોગચાળાને કારણે છેલ્લા બે વર્ષથી રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું ન હતું, પરંતુ આ વર્ષે ભગવાન જગન્નાથ અને તેમના લાકડાના રથને ખેંચવા માટે અમદાવાદ સહિત ગુજરાતભરના લાખો શ્રદ્ધાળુઓ મળસ્કે જ રસ્તાઓ પર આવી પહોંચ્યા હતા.
અમદાવાદમાં ભગવાન જગન્નાથની ૧૪૫મી રથયાત્રા જગતનાથ નગરચર્યાએ નીકળી એ પૂર્વે મંગળા આરતી બાદ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ તેમજ મહેન્દ્ર ઝા દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પાઘડી પહેરાવી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મળસ્કે ૩.૫૦ વાગ્યે જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા ગૃહમંત્રી અમિત શાહની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ મંદિરે પહોંચ્યા હતા.
મળસ્કે ૩ઃ૫૫ વાગ્યે ભગવાનના કપાટ ખુલ્યા હતા અને ચાર વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભગવાનની મંગળા આરતી કરી હતી. જગન્નાથ મંદિરમાં આગળના દિવસથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથ સહિત બળભદ્રજી અને બહેન સુભદ્રાના દર્શન કરીને સોનાની સાવરણીથી કચરોવાળીને પહિંદવિધિ કરી હતી. તેમણે ત્રણેય રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામના રથ મંદિરની બહાર નીકળ્યા હતા.રથની આસપાસ આરએએફના જવાનોનો પહેરો રાખવામાં આવ્યો છે.
મોડી રાતથી ભક્તોમાં નાથની નગરચર્યા અંગે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. મંદિર પરિસરમાં ભક્તોએ ગરબા કર્યા હતા તો મળસ્કે જય રણછોડ માખણચોરના નાદ સાથે મંદિર ગુંજી ઉઠ્યું હતું.
આ ઉત્સાહમાં કુદરત પણ પાછળ રહ્યું ન હતું અને અષાઢી બીજના દિવસની પરંપરા જાળવતાં રાજ્યભરમાં વરસાદ સાથે ભગવાન જગન્નાથ પર વરુણ દેવના અમી છાંટણા વરસતાં શ્રદ્ધાળુંઓ આનંદ-આનંદ થઈ ગયા હતા.
અમદાવાદની રથયાત્રામાં આ વખતે કોરોનાકાળને પ્રદર્શિત કરતી ઝાંખી જોવા મળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વેશભૂષા અને હોસ્પિટલ સાથેની ઝાંખી જોવા મળી હતી. હોસ્પિટલના બેડ, ઑક્સિજન, દર્દી અને ડોકટરની કામગીરી પ્રદર્શિત કરતી ઝાંખી બતાવવામાં આવી છે. વડાપ્રધાને કોરોનાકાળ દરમિયાન કરેલા નેતૃત્વને દર્શાવતી ઝાંખી પણ જોવા મળી હતી.