દેશમાં સતત વધી રહેલા ‘માન્ય’ રાજકીય પક્ષો પર ઘણા સમયથી તવાઈ લાવવાનું કામ ચૂંટણી પંચ હાથ પર લઈ ચૂક્યું છે. પંચની તપાસ બાદ ચૂંટણીમાં 111 નહી નોંધાયેલા રાજકીય પક્ષોને માન્ય પક્ષની યાદીમાંથી બહાર કાઢયા છે. તપાસમાં બહાર આવેલી હકીકતો ખુબ જ ખતરનાક છે. નહી નોંધાયેલા રાજકીય પક્ષોનું ક્યાંય કોઈ અસ્તિત્વ જ ન હતું પણ આ રાજકીય પક્ષોના નામે બોગસ કંપનીઓ કે રાજકીય ભંડોળ મેળવવા માટેનું ષડયંત્ર જ હતું. ખાસ કરીને ઉત્તરપ્રદેશમાં આવા પક્ષોનો રીતસર રાફડો ફાટ્યો હતો. આ ‘રાજકીય પક્ષો’ માં ત્રણ ‘પક્ષો’ સામે ફોજદારી અને કાનૂની પ્રક્રિયા શરૂ કરવાની ભલામણ થઈ છે.
2017-18 થી 2019-20 સુધીમાં 2351 નવી માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોની યાદી તૈયાર કરી છે. આ રાજકીય પક્ષોમાં 111 પક્ષો એવા નીકળ્યા છે જેમની પાસે કોઈ બંધારણ કે સંગઠન સહિતની વ્યવસ્થા જ ન હતી. આવા ઓળખાયેલા પક્ષોને ચૂંટણી પંચની યાદીમાંથી બાકાત કરવામાં આવ્યા છે. અનેક પક્ષો એવા હતા જે ફક્ત બે જ વ્યક્તિઓથી ચાલતા હતા. બે વ્યક્તિથી ચાલતો પક્ષ કોઈ રાજકીય પ્રવૃતિ પણ કરતી નહી હોવાનું જાહેર થયું છે.
સૌથી રસપ્રદ અને ચોંકાવનારો કિસ્સો ‘અપનાદલ પાર્ટી’ નો છે. તેણે 2017 થી 2020 સુધીમાં રૂા.233 કરોડનું રાજકીય ભંડોળ મેળવ્યું હતું. તેની નોંધણી ઉતરપ્રદેશના સુલતાનપુરના સરનામાથી થઈ હતી. બાદમાં એક અન્ય અબ્દુલ બી. રઝાક પઠાણ નામના વ્યક્તિએ અમદાવાદ જમાલપુરના સરનામા સાથે આ ‘પક્ષ’ કાર્યરત હોવાનો દાવો કર્યો હતો. અબ્દુલ મજીદ નામના વ્યક્તિએ ચૂંટણી પંચ સમક્ષ રજુ કરેલા દસ્તાવેજોમાં આવક અને ખર્ચ ‘નીલ’ બનાવ્યો હતો પણ તેણે 2017-18માં રૂા.37.17 કરોડ 2018-19માં રૂા.80.06 કરોડ અને 2019-20માં રૂા.115 કરોડ મેળવ્યા હોવાનું જણાવ્યું હતું.
આ ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી તથા જનતાવાદી કોંગ્રેસ પાર્ટી એક જ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ઓડીટર દ્વારા એક જ સમયે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં નોંધાઈ હતી અને બન્નેના સંદેશાવ્યવહાર રેફરન્સ નંબર પણ એક જ સમાન હતા. ચૂંટણીપંચ માને છે કે મોટાભાગની આ પાર્ટીમાં રાજકીય ભંડોળ છુપાવવા અથવા તો બોગસ કંપનીઓ મારફત કાળા નાણાનો વ્યવહાર કરવામાં ઉપયોગમાં લેવાતી હતી. વધુ તપાસ ચાલી રહી છે.