ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા ગુજરાત જાહેર સલામતી પગલા અમલીકરણ કાયદા 2022 નિયમો સાથે તૈયાર થઈ રહ્યો છે. પ્રથમ તબક્કે આ કાયદાનો અમલ સુરત સહિત 8 મહાનગર પાલિકાઓમાં થશે. કાયદો અમલમાં આવે એ પૂર્વે 30 જુન સુધી ગૃહ વિભાગે નાગરિકો પાસેથી સૂચન અને વાંધા માગ્યા છે.
ગુજરાતમાં આધુનિક ટેકનોલોજીની મદદથી ગુનાખોરી રોકવા જાહેર સ્થળો અને વ્યાપારિક એકમોમાં શાંતિ સલામતી અને સુરક્ષા માટે સીસીટીવી નેટવર્ક ઊભું કરવાની તૈયારી સરકારે પૂરી કરી છે. ટૂંક સમયમાં જ સુરત સહિત અન્ય મહાનગરપાલિકાઓમાં આ કાયદાનો અમલ શરૂ થઈ જશે બીજા તબક્કામાં રાજ્યની તમામ નગરપાલિકાઓ અને નોટીફાઈડ એરિયામાં આ કાયદાનો અમલ કરવાની પણ સરકારની તૈયારી છે.
ગૃહ વિભાગ દ્વારા આ માટે કાયદામાં જોગવાઈઓ કરવામાં આવી છે કે 1 હજારથી વધુ લોકોની અવરજવર રહેતી હોય એવા જાહેર સ્થળોએ ફરજિયાત સીસીટીવી નેટવર્ક ઊભું કરવાનું રહેશે. જેના ફૂટેજ 30 દિવસ સુધી ફરજીયાતપણે સાચવવાના રહેશે. કોઈ પણ ઘટના બાદ પોલીસ તપાસ થતી હોય ત્યારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે તેથી ઉપરના દરજ્જાના કોઈ પણ તપાસ અધિકારી સીસીટીવીના ફૂટેજ માંગે ત્યારે તે આપવા પડશે.
મોટી દુકાનો, સમાજ ની વાડી(સંકુલ), મોલ, કોમ્પલેક્સ, શૈક્ષણિક સંકુલ, હોસ્પિટલો, મંદિરો સહિતની સંસ્થાઓએ હવે ફરજિયાત સીસીટીવી નેટવર્ક ઉભુ કરવું પડશે. ઉલ્લેખનીય છે કે ગૃહ વિભાગ દ્વારા હાલ આ કાયદા અન્વયે તેના નિયમો તૈયાર કરવામાં આવી રહ્યા છે.