હોટલ-રેસ્ટોરામાં સર્વિસ ચાર્જ વસૂલવા સામે સરકાર કડક વલણ અપનાવવા જઈ રહી છે. કોઈપણ હોટલ કે રેસ્ટોરાં હવે ગ્રાહકને સર્વિસ આપવા ફરજ પાડી શકશે નહીં.ડીપાર્ટમેન્ટ ક્ધઝયુમર અફેર્સ દ્વારા આ અંગે તા. 2જી જુને હોટેલ-રેસ્ટોરા સાથે જોડાયેલા સંગઠનોની બેઠક બોલાવવામાં આવી છે.
કાનૂન મુજબ કોઇપણ રેસ્ટોરા-હોટલ સર્વિસ ચાર્જ લઇ શકતા નથી, પરંતુ મોટાભાગનાં રેસ્ટોરા અને હોટલમાં આ પ્રકારના ચાર્જ વસુલાય છે. હોટલ રેસ્ટારાં ઉપરાંત ફૂડ ડીલેવરી એગ્રીગેટર તરીકે ઓળખાતી ઝોમેટો, સ્વીગી, ડેલિવરી, ઓલા, ઉબેર જેવા સર્વિસ પ્રોવાઈડર પણ આ બેઠકમાં તેડું મોકલવામાં આવ્યું છે. બેઠકમાં તેમને પણ સર્વિસ ચાર્જ નહીં વસૂલવા જણાવાશે. હોટલ અને રેસ્ટોરામાં સર્વિસ ચાર્જ એ મરજિયાત છે અને ગ્રાહક જો ઇચ્છે તો તે આપી શકે છે.સરકારે તા. 21, એપ્રિલ, 2017ના રોજ આ અંગે એક ગાઈડલાઈન બહાર પાડી હતી અને તેમાં જણાવ્યું હતું કે કન્ઝયુમર બીલમાં સર્વિસ ચાર્જ ઉપરાંત વેઇટરને અલગથી ટીપનો જે રીવાજ છે તેમાં સંપૂર્ણપણે ગ્રાહકના વિવેકાધીન બાબત છે.
ગ્રાહકો પર કેન્દ્ર અને રાજ્ય સરકારના ટેક્સ સિવાય હોટલ રેસ્ટોરા પોતાનો કોઇ ચાર્જ લગાવી શકતી નથી અને બીલમાં લગાવેલો ચાર્જ એ કરવેરા પાત્ર પણ છે. ફૂડની જે કિંમત લખી હોય છે તેની સાથોસાથ હોટલ-રેસ્ટોરા પોતાની રીતે સર્વિસ ચાર્જ પણ ગ્રાહક પાસેથી વસૂલ કરે છે. ગ્રાહક આ પ્રકારનો કોઇપણ ચાર્જ આપવા બંધાયેલો નથી અને ગ્રાહક સુરક્ષા કાયદા અનુસાર રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેકટીસ ગણાશે. ગાઈડલાઇનમાં એ પણ જણાવાયું છે કે ગ્રાહકો જે ફૂડનો ઓર્ડર આપે અને તેના મેનૂમાં દર્શાવેલ ભાવ ટેક્સ સાથે આપવા બાધ્ય છે તે સિવાયનો કોઇપણ ચાર્જ લઇ શકાતો નથી અને જો આ પ્રકારનો ચાર્જ લેવાય તો તે ગ્રાહક ફોરમમાં ફરિયાદ થઇ શકે છે.
વાસ્તવમાં મોટાભાગનાં હોટલના મેનૂમાં સર્વિસ ચાર્જને સ્વૈચ્છિક ગણાવાયો છે એટલે કે જો ગ્રાહક તે આપવા ઇચ્છતો હોય તો તે આપી શકે છે પરંતુ મોટાભાગના હોટલ અને રેસ્ટોરામાં આ પ્રકારનો ચાર્જ બીલની અંદર અથવા તો અન્ય રીતે વસૂલાય જતો હોય છે અને આ અંગે ગ્રાહકોની મળેલી ફરિયાદ બાદ હવે કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યોને પણ સર્વિસ ચાર્જ કે જે સંપૂર્ણપણે સ્વૈચ્છિક છે તે વસૂલાય નહીં અને તે અંગે હોટલ-રેસ્ટોરા સંગઠનો દ્વારા પણ માર્ગરેખા અમલમાં મુકાય તે જોવા જણાવાશે.