યુવકો મારૂ હૃદય છે’ કહીને યુવાશકિતને સન્માર્ગે દોરવામાં પ્રેરણારૂપ ગુરૂહરિ યોગીજી મહારાજનાં 130મા અને હરિધામ સોખડાને પોતાના યુગકાર્યનું કેન્દ્ર બનાવી ગુરૂહરિ યોગીજી મહારાજનાં સંપ, સુહૃદભાવ, એકતાનાં સંદેશ ઉપરાંત આત્મીયતા અને દાસત્વનાં પંચામૃતથી સમાજને ચેતનવંતુ કરનારા હરિપ્રસાદ સ્વામીજી મહારાજના 88મા પ્રાગટય દિનની સુરતમાં સણિયા કણદે ખાતે દિવ્યતાસભર વાતાવરણમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી.
યોગી ડિવાઇન સોસાયટીના અધ્યક્ષ પરમ પૂજય પ્રેમસ્વરૂપ સ્વામીજીએ આ પ્રસંગે આશિર્વચન આપતા કહ્યું હતું કે, જો ખરેખર સુખી થવું હોય, હૃદયમાં શાંતિ સ્થાપવી હોય તો ભગવાન સ્વામિનારાયણનાં ગુરૂહરિ યોગીજી મહારાજનાં અને આપણા પ્રાણાધાર હરિપ્રસાદ સ્વામીજીનાં અનુપમ જીવનમાં ડૂબવું જોઈએ. ભગવાનના સંબંધવાળા પાસે આપણે કાંઇ નથી એવું માનીને જીવવું પડશે. દાસત્વની યાત્રા પર ચાલવું પડશે. કોઇનો સ્વભાવ જોવો નથી. કોઇનો અભાવ લેવો નથી. સ્વામીજી સહુનો મહિમા સમજતા એવો મહિમા આપણે સમજવો પડશે. ભગવાનનો નિશ્ચય ભગવાન થકી થાય. સ્વામીજી જે પરાવાણી બોલીને ગયા છે એ આપણા જીવનમાં સાકાર થવાની છે. જે સાકાર થાય એવું જ હંમેશા બોલ્યા છે.
પરમ પૂજય હરિપ્રસાદ સ્વામીજી મહારાજ કહેતા તેમ આપણે નિર્વિચાર અને નિર્વિકલ્પપણે ત્રીસ મિનીટ ભજન કરતા થવું છે. એ વચનમાં વિશ્વાસ રાખી ભજન શરૂ કરવું છે. સ્વામીજીની સ્મૃતિએ સહિત ભજન કરવું છે. ભગવાન શ્રી સ્વામિનારાયણનાં લીલાચરિત્રો અને ભગવાનના ધારક સત્પુરૂષની વાણીમાં વિશ્ર્વાસ રાખીને આગળ વધવું છે. ભગવાનની કૃપામાં શ્રધ્ધા અને વિશ્વાસ રાખીને ભકિતમાર્ગમાં ચાલવું છે. પ્રભુના રાજીપાનું પાત્ર બનવું છે. નકારાત્મક વાતોથી દુર રહેવું છે. સફેદમાં કાળુ નથી શોધવું, કાળામાં સફેદ શોધવું છે. સ્વામીજી કહેતા તેમ સહજાનંદ સિવાય બીજો આકાર નહીં દેખાય તો જયાં જુએ ત્યાં રામજીની અવસ્થામાં યોગીજી મહારાજ અને હરિપ્રસાદ સ્વામીજી આપણને લઇ જશે.
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ સી.આર.પાટીલે આ પ્રસંગે વિડીયો દ્વારા શુભેચ્છા પાઠવી હતી. રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે પણ વિડીયો સંદેશ પાઠવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આપણે જાણીએ છીએ કે વ્યકિતથી પરિવાર, પરિવારથી સમાજ અને સમાજથી રાષ્ટ્ર બને છે. વ્યકિતનાં ચારિત્ર્ય ઉપર રાષ્ટ્રનું ચારિત્ર્ય નિર્ભર છે. વિવિધ ક્ષેત્રોમાં વિકાસ થાય, વૃધ્ધિ થાય અને રાષ્ટ્રનું ગૌરવ વધે એવી ચિંતન પ્રક્રિયામાં આજનો આ ઉત્સવ મહત્વનું યોગદાન બની રહેશે. પ્રભુનાં ધારક સત્પુરૂષો સાથે સંલગ્ન ઉત્સવો સમાજમાં સકારાત્મક આંદોલનો જગાવે છે. યોગીજી મહારાજ અને હરિપ્રસાદ સ્વામીજી મહારાજે યુવા વર્ગમાં આવા આંદોલનો જગાવીને સમાજને નુતન ઉર્જા બક્ષી છે.
આ પ્રસંગે ખાસ ઉપસ્થિત જાણીતા ભાગવત કથાકાર પૂજય અભય બાપુએ ગુરૂની આજ્ઞાનું મહત્વ સમજાવ્યું હતું. હરિપ્રસાદ સ્વામીજી મહારાજે પોતે પ્રભુમય જીવન જીવીને આદર્શ રચેલો. એ માર્ગે સહુએ ચાલવાનું છે. હરિપ્રસાદ સ્વામીજી મહારાજ હવે પોતાનું કાર્ય પ્રેમસ્વરૂપ સ્વામીજી દ્વારા કરવાના છે એ વાતમાં વિશ્ર્વાસ અને શ્રધ્ધા રાખીને આગળ વધીશુ તો દરેક કાર્યમાં સ્વામીજીની શકિત મળશે.ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષના પૂર્વ નેતા અને ધારાસભ્ય પરેશભાઇ ધાનાણીએ પ્રાસંગિક ઉદબોધનમાં યોગીજી મહારાજ અને હરિપ્રસાદ સ્વામીજીનાં યુગકાર્યને અનુપમ ગણાવીને આવ ભગવાનના ધારક યુગપુરૂષોથી જ સંસ્કૃતિની અને સમાજની રક્ષા થાય છે તેમ જણાવ્યું હતું.
આ દિવ્ય અવસરે પ.પૂ. પ્રેમસ્વરૂપ સ્વામીજીનાં આશિર્વાદ પ્રાપ્ત થાય તેને પોતાનું સૌભાગ્ય ગણાવ્યું હતું.આ પ્રસંગે પૂજય શ્રુતિપ્રકાશ સ્વામી, ગોરધનભાઇ લીંબાણી અને અર્જુનભાઇ પટેલે પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા. કાર્યક્રમના પ્રારંભે પ.પૂ. પ્રેમસ્વરૂપ સ્વામીજીની શ્રી ઠાકોરજી સાથે પધરામણી થઇ ત્યારે ભકતો ભાવવિભોર બન્યા હતા.
બહેનોના વિભાગમાં ધારાસભ્ય સંગીતાબેન પાટિલ તેમજ ઝંખનાબેન દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી સોરઠીયા અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સહિત દેશ-વિદેશથી પધારેલ પચાસ હજારથી વધારે ભકતોએ આ દિવ્ય ઉત્સવનો લાભ લીધો હતો.