ગુજરાતમાં આ દિવસોમાં ભારે વરસાદને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ છે. નદીઓ ગાંડીતુર બની છે. પૂર્ણા નદી, અંબિકા નદી અને કાવેરી નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. સુરત અને ભરૂચ સહિત દક્ષિણ અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. બધે પાણી જ પાણી દેખાય છે. રસ્તા પાણીમાં ગરકાવ થવાને કારણે અનેક ગામોનો શહેરો સાથે સંપર્ક તૂટી ગયો છે. આ સિવાય સાવચેતીના પગલારૂપે ઘણા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. આ સિવાય પાટા પર પાણી ભરાઈ જવાને કારણે ઘણી ટ્રેનો રદ કરવામાં આવી હતી. જ્યારે કેટલીક ટ્રેનોનું શિડ્યુલ બદલાવામાં આવ્યું હતું. વહીવટીતંત્ર અને NDRFની ટીમોએ પૂરમાં ફસાયેલા સેંકડો લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. અને શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી.
બોરસદમાં ચાર કલાકમાં 314 મીમી વરસાદ નોંધાયો હતો
સ્ટેટ ડિઝાસ્ટર સેન્ટરના જણાવ્યા અનુસાર, આણંદ જિલ્લાના બોરસદમાં સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધીના ચાર કલાકમાં 314 મીમી વરસાદ નોંધાયો હતો. અહીં નીચાણવાળા વિસ્તારોમાં પૂરના કારણે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોએ 400 લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. ડીએમ પ્રવીણ ચૌધરીએ જણાવ્યું કે પૂરમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે.
સુરતના અનેક ગામો સાથેનો સંપર્ક તૂટી ગયો
ભારે વરસાદને કારણે સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો હતો. અહીં પૂરમાં ફસાયેલા લગભગ 200 લોકોને સલામત સ્થળે મોકલવામાં આવ્યા છે. NDRFએ સુરતના માંગરોળના લીંબડામાંથી લોકોને બચાવ્યા. જ્યારે સુરતમાં ઉમરપાડામાં 276 મીમી, પલસાણામાં 250 મીમી, કામરેજમાં 208 મીમી અને બારડોલીમાં 202 મીમી વરસાદ નોંધાયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે સાવચેતીના પગલા તરીકે જિલ્લાના 132 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.
ભરૂચમાં પણ સ્થિતિ વણસી છે
ભરૂચમાં સવારે ચાર વાગ્યાથી પડેલા વરસાદને કારણે સ્થિતિ વણસી છે. ડીએમ તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે હાંસોટ, ઝગરીયા, વાલિયા અને ભરૂચના નેત્રંગ, અંકલેશ્વર અને જાંબસુરમાં ભારે વરસાદ થયો હતો. જેના કારણે અહીંની તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવામાં આવી છે. પૂર્ણા નદીમાં પાણી વધવાને કારણે આવેલા પૂરને કારણે નવસારી અને બિલમોરાના 150 લોકોને અન્ય સ્થળે મોકલવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે કાવેરી અને અંબિકા નદીઓ ખતરાના સ્તરે વહી રહી છે. તેમની સાથે જોડાયેલી નદીઓ છલકાઈ ગઈ છે. જેના કારણે અનેક જગ્યાએ વાહન વ્યવહાર ખોરવાયો છે.
ચાર પેસેન્જર ટ્રેનો રદ
સતત વરસાદના કારણે રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે. આ ઉપરાંત અનેક જગ્યાએ રેલ્વે બ્રિજ સુધી પાણી પહોંચી ગયા છે. આ કારણે લાંબા અંતરની 11 ટ્રેનો નિયમન મુજબ એટલે કે વિલંબિત દોડશે. જ્યારે ચાર પેસેન્જર ટ્રેનો રદ કરવામાં આવી છે.