રશિયા-યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધના સંજોગોમાં સરકારના પ્રયાસોથી યુક્રેનથી વધુ 137 વિદ્યાર્થી પોતાના વતન પરત ફરવામાં સફળ રહ્યા છે. યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓનું આજે ગાંધીનગર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ ગુજરાતમાં પરત ફરેલા વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી યુક્રેનમાં ફસાયેલા 750 જેટલા વિદ્યાર્થીઓ ગુજરાત પરત આવ્યા છે. હજીપણ યુક્રેનમાં ફસાયા છે એવા વિદ્યાર્થીઓના વાલીઓને ચિંતા ન કરવા જીતુભાઇ વાઘાણીએ હૈયાધરપત આપી છે. જીતુભાઇ વાઘાણીએ નિર્ધાર વ્યક્ત કર્યો હતો કે યુક્રેનમાં ફસાયેલા આપણા દરેક વિદ્યાર્થીને પરત લાવવામાં આવશે.
યુદ્ધના દસમા દિવસે રશિયાએ યુદ્ધવિરામ જાહેર કરતાં જણાવ્યુ છે કે, યુદ્ધને કારણે યુક્રેનમાં ફસાયેલા વિદેશી નાગરિકો સુરક્ષિત રીતે બહાર નિકળી શકે તે માટે તેમણે હાલ પુરતું યુદ્ધવિરામ જાહેર કરી રહ્યાં છે. રશિયાનું આ પગલું ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ પછી આ વિસ્તારોમાં ફસાયેલા ભારતીય અને વિદેશી નાગરિકો સુરક્ષિત રીતે બહાર નીકળી શકશે. રશિયન સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે આ યુદ્ધવિરામ આજે ભારતીય સમય અનુસાર 11.30 કલાકથી અમલમાં આવ્યો છે.