આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટની અધ્યક્ષતામાં ભાજપના સ્થાપના દિન 6 એપ્રિલથી 25 એપ્રિલ દરમિયાન ગુજરાતભરમાં યાત્રા યોજવાની જાહેરાત કરી છે. આ યાત્રામાં દેશને આઝાદી અપાવનાર સ્વતંત્રતા સેનાનીઓના ઘરના આંગણાની માટી એકત્ર કરવામાં આવશે. સાથે સાથે આઝાદ ભારતના જે પણ સૈનિકોએ આપણા દેશની રક્ષા માટે શહિદી વ્હોરી છે. તેમના પરિવારજનોને મળી તેમના ઘરના આંગણાની માટી પણ કળશમાં એકત્ર કરવામાં આવશે. તેમજ કોરોના મહામારીમાં ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સને પણ શહિદનું બિરુદ મળ્યુ છે તેમના પરિવારજનોને મળી તેમના ઘરની માટીનું એકત્રીકરણ કરવામાં આવશે.
પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડો. પ્રશાંત કોરાટે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું કે, યુવા મોરચા દ્વારા દેશના 75માં આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે દેશના અમૃત કાળનો સંદેશો યુવાનો સુધી પહોચે અને યુવાનોમાં દેશભક્તિનો સંચાર થાય તે હેતુથી ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ 6 એપ્રિલના રોજ અમદાવાદ ખાતેથી યાત્રાની શરૂઆત કરવામાં આવશે. આ યાત્રાને 6 એપ્રિલના રોજ પ્રદેશના અધ્યક્ષ સી.આર.પાટીલ, રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સુર્યા તેમજ પ્રદેશના મહામંત્રીઓ અને અન્ય પદાધિકારીઓ અમદાવાદ ખાતે ઉપસ્થિત રહી યાત્રાને પ્રસ્થાન કરાવશે.
કોરાટે વધુમાં જણાવ્યું કે, યુવા મોરચા દ્વારા 75 બાઇક સાથે ગુજરાતભરમાં આશરે 3 હજાર કિમી ફરી 80 વિધાનસભા બેઠકો પર દેશ માટે શહિદ થયેલા અનેક વિરોના વિચારોને યુવાનો સુધી પહોંચાડવાનું કામ હાથ ધરશે. આ યાત્રામાં અલગ-અલગ થીમના ટેબ્લો સાથે સમગ્ર ગુજરાતમાં આ યાત્રા ફરશે. અમદાવાદથી શરૂ થઇને યાત્રા ઉત્તર ઝોનના દરેક જીલ્લામાં પહોંચશે ત્યાર બાદ સૌરાષ્ટ્ર ઝોનના દરેક જીલ્લામાં પહોંચશે ત્યાથી નડિયાદ થઇ મધ્યઝોનના દરેક જીલ્લામાં થઇ દક્ષિણ ઝોનમાં સુરત ખાતે 25 એપ્રિલે યાત્રાનું સમાપન થશે.
કોરાટે વધુમાં જણાવ્યું કે, આ યાત્રામાં દેશને આઝાદી અપાવનાર સ્વતંત્રસેનાનીઓના ધરના આંગણાની માટી એકત્ર કરવામાં આવશે સાથે આઝાદ ભારતના જે પણ સૈનિકોએ આપણા દેશની રક્ષા માટે શહિદી વ્હોરી છે તેમના પરિવારજનોને મળી તેમના ઘરના આંગણાની માટી પણ કળશમાં એકત્ર કરવામાં આવશે તેમજ કોરોના જેવી વૈશ્વીક મહામારીમાં ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સને પણ શહિદનું બિરૂદ મળ્યુ છે તેમના પરિવારજનોને મળી તેમના ઘરની માટી એકત્રીકરણ કરવામાં આવશે.