સુરતવાસીઓ યોગ કાર્યક્રમમાં ઉત્સાહથી જોડાઈને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. સુરત ખાતે આયોજિત રાજ્ય કક્ષાના યોગ કાર્યક્રમમાં Y જંકશન થી SVNIT સર્કલ -૪ કિ.મી સુધી, Y જંકશનથી રત્નભૂમિ પાર્ટી પ્લોટ – ૪ કિ.મી સુધી, તેવી જ રીતે Y જંકશનથી સુરત એરપોર્ટ ગેટ – ૪.૫ કિ.મી સુધી મળી પ્રતિ ૧ કિમી આશરે ૧૦,૦૦૦ નાગરિકો એટલે કે ૧,૨૫,૦૦૦ નાગરિકો કુલ ૧૨.૫ કિમી પાથ પર આ યોગાભ્યાસમાં સહભાગી થયા હતા. આ કાર્યક્રમમાં જોડાવા માટે જાહેર કરાયેલી ઓનલાઇન લિંક ઉપર ગણતરીના કલાકોમાં જ એક લાખથી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. સુરતવાસીઓ યોગ કાર્યક્રમમાં ઉત્સાહથી જોડાઈને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે.
તા.૨૧મી જૂન-આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે સુરત ખાતે આયોજિત રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં સહભાગી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું હતું કે, આપણી સ્વાસ્થ્ય ધરોહર યોગને વૈશ્વિક સ્વીકૃતિ મળી ચૂકી છે. વડાપ્રધાન મોદીના સાર્થક પ્રયાસોથી વિશ્વભરમાં યોગ પ્રચલિત બનતા ભારતને ગૌરવ મળ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં યોગને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે યોગ બોર્ડની સ્થાપના કરી છે, પરિણામે ૫,૦૦૦ લોકોને રોજગારી પ્રાપ્ત થઈ છે. હવે આ પ્રયાસોને આગળ વધારતા રાજ્યમાં નવા ૫૧ યોગ સ્ટુડિયોનું નિર્માણ કરાશે એવી તેમણે આ પ્રસંગે જાહેરાત કરી છે. ગૃહ, યુવક સેવા અને સાંસ્કૃતિક રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ, સાંસદ સી.આર.પાટીલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આયોજિત રાજ્ય કક્ષાના યોગદિન કાર્યક્રમમાં સમગ્ર સુરત યોગમય બન્યું હતું. એક સાથે એક સ્થળે ૧.૫૦ લાખ નાગરિકો યોગાભ્યાસમાં જોડાતા ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે. સુરતના નામે વિશ્વ વિક્રમ બનવાની આ ઐતિહાસિક ક્ષણે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસના પ્રતિનિધિઓએ અધિકૃત જાહેરાત કરી હતી તેમજ મુખ્યમંત્રીને રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત કર્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ભારતની ભવ્ય વિરાસત સમા યોગથી વિશ્વમાં ‘વસુધૈવ કુટુમ્બકમ’ની ભાવના વધુ મજબૂત થઈ છે. જેનું શ્રેય આપણા યશસ્વી વડાપ્રધાનને ફાળે જાય છે. કેન્દ્ર સરકારના સુશાસનને ૯ વર્ષ તેમજ ૯મા વિશ્વ યોગ દિવસનો સંયોગ સર્જાયો છે એમ જણાવતા મુખ્યમંત્રી પટેલે ઉમેર્યું કે રાજ્યમાં ૭૦૦૦થી વધુ સ્થળોએ સવા કરોડ જેટલા લોકો યોગદિવસની ઉજવણીમાં જોડાયા છે, ત્યારે યોગ દિવસની રાજ્યના નાગરિકોને શુભકામનાઓ પાઠવી યોગથી નિરોગ રહેવાનો અનુરોધ કર્યો હતો.
ગૃહ, યુવક સેવા અને સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, સમગ્ર વિશ્વ વિશાળ જન ભાગીદારી સાથે યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે સુરતમાં રચાયેલો ઈતિહાસ આપણા માટે ગૌરવપ્રદ ક્ષણ છે. મોડા સૂવાની અને મોડા જાગવાની પ્રકૃતિ ધરાવતા સુરતીઓ યોગદિને વહેલી સવારથી સજ્જ થઈને રેકોર્ડબ્રેક સંખ્યામાં વેસુમાં એકઠા થયા છે જે સરાહનીય છે.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને સાંસદ સી.આર.પાટીલે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું કે, એક સાથે દોઢ લાખ લોકોની સામૂહિક યોગસાધનાથી ન ભૂતો ન ભવિષ્યતિ સમાન રેકોર્ડ સર્જાયો છે એમ જણાવી સ્વાસ્થ્યની જાળવણી માટે જનસામાન્યની પસંદ બનેલા યોગને જીવનનો ભાગ બનાવવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાથી દેશવાસીઓને વર્ચ્યુઅલી સંબોધન કરી દેશવાસીઓને યોગદિનની શુભકામનાઓ પાઠવી હતી. ઉપસ્થિત સૌએ મધ્યપ્રદેશના જબલપુરમાં ઉપરાષ્ટ્રપતિ આયોજિત રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ નિહાળ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મહાનુભાવોના હસ્તે યોગના મહત્વ અને યોગના ઈતિહાસ આધારિત કોફી ટેબલ બુક ‘યોગ’નું વિમોચન કરવામાં આવ્યું હતું. તેમજ યોગ એવોર્ડ એનાયત કરાયા હતા. યોગ બોર્ડના ચેરમેનશ્રી શિશપાલ રાજપૂતે કોમન યોગ પ્રોટોકોલ અભ્યાસ કરાવ્યો હતો. તેમણે વિવિધ યોગાસનો કરાવીને યોગ નિદર્શન કર્યું હતું.