પરિક્ષામાં તૈયારી વગર જતાં બાળકો પેપર ચકાસનારને રિઝવવા કે ધ્યાન ખેંચવા અનેક ચિત્રવિચીત્ર પ્રયોગો તેમની બુદ્ધિ અનુસાર અજમાવતા હોય એ નવી વાત નથી. પ્રશ્નપત્રમાં ભગવાનના મંત્રોથી લઈને શિક્ષકો ફૂટપટ્ટીથી માપીને માર્ક્સ આપતા હશે એવી ધારણા સાથે ફિલ્મી સ્ટોરી કે ડાયલોગ્સ પણ લખતાં હોય તેવા કિસ્સાઓ અત્યારસુધી જગજાહેર છે. પરંતુ બદલાયેલા સમય સાથે વિદ્યાર્થીઓના માનસે કદમ મિલાવતાં આ વખતે જે કારનામાને અંજામ આપ્યો છે એ સમગ્ર સિસ્ટમ માટે તમાચારૂપ છે. જેના પરિણામની આજકાલમાં રાહ જોવાઈ રહી છે એ ધો.10ના બે વિદ્યાર્થીઓએ પેપર ચકાસતા શિક્ષકને સીધી ‘લાંચ’ આપવાનો જ પ્રયાસ કરી ચોંકાવી દીધા છે. હકીકતમાં બે વિદ્યાર્થીઓએ પેપરની અંદર રૂા.500-500ની નોટ સ્ટેપલર કરી ‘પાસ’ કરવા વિનંતી કરી છે. આ હિમ્મતથી શિક્ષણ વિભાગ પણ સન્નાટામાં છે.
ગુજરાત સેકન્ડરી એજયુકેશન બોર્ડના અધિકારી સુત્રો દ્વારા મળતી વિગતો અનુસાર, માર્ચ-2023માં લેવાયેલી ધો.10 એસએસસી બોર્ડની પરિક્ષામાં ગુજરાતી માધ્યમના બે વિદ્યાર્થીઓએ તેમના બે પેપર સારા ન જવાના હોવાનું લાગતા રૂા.500-500ની નોટ ઉત્તરવહીમાં સ્ટેપલર કરી હતી. નોટ સાથે તેમણે એક નોટ લખીને જણાવ્યું હતું કે, તેઓ પરીક્ષાની તૈયારી કરી શકયા ન હોવાથી પાસ કરવા વિનંતી. બોર્ડ આ કિસ્સામાં શું કાર્યવાહી કરે છે એ તો પછીની વાત છે પરંતુ બાળમાનસમાં આ છાપ અત્યારથી ઊભી થઈ એ ચોક્કસ જ ચિંતાનો વિષય છે. બોર્ડ તેઓને એક વર્ષ માટે ધો.10ની પરીક્ષામાં બેસવા પર પ્રતિબંધ મુકી શકે છે અથવા પરીક્ષામાં નપાસ જાહેર કરીને રિપીટર તરીકે પરીક્ષા આપવાની તક પણ આપી શકે છે.
બંને વિદ્યાર્થીઓને ગણિત અને અંગ્રેજીની પરીક્ષામાં નપાસ થવાનો ડર હતો. પેપર ચકાસનાર શિક્ષકે આ ઘટના બાબતે બોર્ડનું ધ્યાન દોર્યુ છે. એ પણ જાણવું અહીં જરૂરી છે કે, આ રીતે લાંચ ઓફર કરવી એ ફોજદારી ગુનો પણ બને છે. જોકે,વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી બોર્ડ સજાપાત્ર કોઈ કાર્યવાહી કરી શકે છે જેનાથી તેમને એક કડક મેસેજ મળે. બોર્ડની કમિટી સમક્ષ વિદ્યાર્થી અને વાલીને હાજર થવા જણાવાશે ત્યારબાદ આગળ નિર્ણય લેવાઈ શકે છે. શિક્ષારૂપે વિદ્યાર્થીઓ પર એક વર્ષ ધો.10ની પરીક્ષા આપવા પર પ્રતિબંધ પણ મુકાઈ શકે છે અતવા એક વર્ષ બાદ રિપીટર તરીકે પરીક્ષાની છૂટ મળી શકે છે.