સુરતમાં વીર નર્મદ યુનિવર્સિટી સંલગ્ન મેડિકલ કોલેજોનું એમ.બી.બી.એસ. ત્રીજા વર્ષના ફર્સ્ટ સેમિસ્ટરનું પરિણામ જાહેર થયું હતું, જેમાં 795 માંથી 122 વિદ્યાર્થીઓને નાપાસ થયા હતા.નાપાસ વિદ્યાર્થીઓ કુલપતિને રજૂઆત કરવા પણ દોડી ગયા હતા પરંતુ જે વાસ્તવિક્તા સામે આવી એ બેહદ શરમજનક છે કે, આ વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ પરીક્ષામાં બ્લડ પ્રેશર માપતા પણ આવડ્યું ન હતું.
વીર નર્મદ યુનિવર્સિટી સંલગ્ન મેડિકલ કોલેજોનું એમ.બી.બી.એસ. ત્રીજા વર્ષના ફર્સ્ટ સેમિસ્ટરનું પરિણામ 84.28 ટકા જાહેર કરવામાં આવ્યું. 795 માંથી નાપાસ 122 વિદ્યાર્થીઓ પૈકી 41 વિદ્યાર્થીઓ એવા નીકળ્યા જે તેમની નબળાઇ સ્વીકારવા તૈયાર ન હતી અને એ સીધા યુનિવર્સિટીમાં કુલપતિ સમક્ષ પહોચી ગયા હતા. આ વિદ્યાર્થીઓએ કુલપતિને આવેદનપત્ર પાઠવ્યું અને ફેરપરીક્ષાની માંગ કરી. કુલપતિ કે.એન. ચાવડાએ તેમની રજૂઆત ધૈર્યપૂર્વક સાંભળી અને ત્યારબાદ આ મામલે જાતે તપાસ હાથ ધરી તો મામલો બેહદ ચોંકાવનારો જ નહીં એટલો જ ગંભીર હોવાની તેમને પ્રતિતી થઈ. તેમના સમક્ષ જે ફાઈન્ડિંગ્સ સામે આવ્યા એ અનુસાર, જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે એ વિધાર્થીઓ એવા હતા જેમને મુન્નાભાઈ એમબીબીએસની તર્જ પર બ્લડ પ્રેશર માપવા સહિતની મેડિકલને લગતી બેઝિક બાબતો પણ પ્રેક્ટિકલ પરીક્ષામાં આવડી ન હતી.
જે 122 વિદ્યાર્થી પ્રેક્ટિકલ પરીક્ષામાં નાપાસ થયા તેઓને મેડિકલ ટર્મ્સના સવાલો પૂછવામાં આવ્યા હતા તેમાં સામાન્ય સંતોષકારક જવાબ ન મળ્યા હોય એ કેવી રીતે પાસ જાહેર થઈ શકે. આ અનુભવ કુલપતિ ડો. ચાવડા માટે પણ ખૂબ સ્વભાવિક ચિંતાજનક હતો. વ્યાપક હિતને ધ્યાનમાં રાખી તેમણે વિદ્યાર્થીઓ ભવિષ્યમાં વધુ સારી રીતે પ્રેક્ટિકલ કરી શકે અને જવાબદાર તબીબ બની સમાજની સેવા કરી શકે પ્રયત્ન શરૂ કરતાં નિર્ણય લીધો કે, ગર્વમેન્ટ કોલેજના તંત્ર અને યુનિવર્સિટી વચ્ચે સંકલન કરીને જરૂરી સેમિનાર તેમજ જરૂરી તમામ પ્રયત્નો કરવામાં આવશે.