કોરોના મહામારીના કાળમુખા સમયમાં સેંકડો લોકોનો ભોગ લીધો હતો. અનેક પરિવારોમાં કેટલાય બાળકોએ સાવ નાની ઉંમરમાં માતા-પિતાની છત્રછાયાનો ગુમાવી દીધા હોવાના પણ કિસ્સાઓ નોંધાયા હતા, આવા અનાથ બાળકોને સરકારે દત્તક લીધા છે. રાજ્ય સરકારે કોવિડ-19માં એક અથવા બંને પેરેન્ટ્સ ગુમાવનારી 17,120 છોકરીઓ માટે યોજના જાહેર કરી છે. આ યોજના મુજબ તેમના લગ્ન સમયે તેમને 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.
સરકારી આંકડા અનુસાર પાલક માતા-પિતા યોજના હેઠળ 8 હજાર છોકરીઓને સહાય જ્યારે અન્ય 9,120 છોકરીઓને મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ સહાય આપવામાં આવશે. રાજ્યના નાણામંત્રીએ એક નવી યોજનાની જાહેરાત બજેટમાં કરી હતી, પાલક માતા-પિતા સહાય યોજના અને મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ છોકરીઓને લગ્ન સમયે 2 લાખની સહાય માટે 2023-24માં 20 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્ય સરકારના જણાવ્યા પ્રમાણે, લગભગ 1 હજાર છોકરીઓ દર વર્ષે લગ્ન યોગ્ય ઉંમરે પહોંચશે.
’ 20 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે અને આ દર વર્ષે યથાવત્ રહેશે’ સરકારી સૂત્રોએ આ સાથે જણાવ્યું હતું કે, સહાય ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર થકી આપવામાં આવશે. પાલક માતા-પિતા યોજના હેઠળ કુલ 8 હજાર છોકરીઓને સહાય આપવામાં આવી રહી છે. તેમાંથી 6,158ની ઉંમર 15 વર્ષની આસપાસ જ્યારે 1,842ની 16થી 18 વર્ષની વચ્ચે છે. આ રીતે મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ 9,120 છોકરીઓને સહાય મળી રહી રહે છે. તેમાંથી 6,958ની ઉંમર 15 વર્ષની આસપાસ જ્યારે 2,162 છોકરીઓની ઉંમર 16થી 18 વર્ષ વચ્ચેની છે.