રાજ્યમાં એફીડેવીટ, ભાડા કરાર સહિતના મહેસુલી કામો માટે ઉપયોગી પૂરવાર થયેલી સ્ટેમ્પ ફ્રેન્કીંગ સિસ્ટમ જુલાઈ મહિનાથી બંધ કરવાનો નિર્ણયો લેવાયો છે. ફ્રેન્કીંગ સિસ્ટમ વાપરતી બેંકો અને વકીલોને આવતીકાલથી બેલેન્સ ભરાવવાની રિચાર્જ સિસ્ટમ બંધ થવાના મેસેજ મોકલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, હાલ રાજયમાં 15મી એપ્રિલથી જંત્રીદરમાં વધારો થવાનો હોવાના લીધે દસ્તાવેજ નોંધણી માટે પુષ્કળ ધસારો છે હવે તેવા સમયે આ ફ્રેન્કીંગ સિસ્ટમમાં રિચાર્જ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ફ્રેંકીંગ રિચાર્જ માટે આજે છેલ્લો દિવસ છે અને હાલના બેલેન્સનો ઉપયોગ ફક્ત 30 જુન સુધી જ કરી શકાશે. આ સમયગાળામાં જો બેલેન્સનો ઉપયોગ ન થાય તો બેલેન્સ નિરર્થક થઈ જશે.
સુરતની ટોચની સહકારી બેંકોના હવાલેથી ગુજરાત બ્રેકિંગ સાથે વાતચીતમાં જણાવાયું હતું કે બેંક ગ્રાહકોને એફીડેવિટ સહિતની કામગીરીમાં બેંકોના ફ્રેન્કીંગ મશીન ખૂબ ઉપયોગી થાય છે. લોકોને સ્થળ પર જ સુવિધા મળી જતી હોવાના કારણે મોટાભાગની બેંકોએ આ સુવિધા વસાવી હતી. હવે જુલાઈથી આ સુવિધા બંધ થઈ જશે. એ ઉપરાંત વકીલોએ પણ ફ્રેન્કીંગ મશીનો વસાવ્યા હતા જે પણ નકામા થઈ જશે.
તમને જણાવી દઈએ કે, રજિસ્ટર્ડ દસ્તાવેજ ઉપરાંત ભાડા કરાર, સમજુતી કરાર, બોન્ડ, એફીડેવિટ, અનરજીસ્ટર્ડ દસ્તાવેજો સહિતની કામગીરીમાં ફ્રેન્કીંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે. રાજ્યમાં 3000 કરોડથી વધારેનું ફ્રેન્કીંગ થાય છે.
હકીકતમાં, આ સિસ્ટમમાં કૌભાંડની ગંધ આવ્યા બાદ આ સિસ્ટમને બંધ કરી દઈને તેને બદલે હવે ઈ-સ્ટેમ્પીંગને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરાયો છે. ફ્રેન્કીંગ ધરાવતા લાયસન્સધારકોએ દર વર્ષે તે રિન્યુ પણ કરાવવા પડતાં હોય છે. હવે સિસ્ટમ સંકેલી લેવાની હોવાના કારણે સરકારે 1લી એપ્રિલથી પ્રિપેઈડ બેલેન્સ લોડ નહીં કરી આપવાનો નિર્ણય કર્યો છે.