મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતમાં જામજોધપુર તાલુકાના સિદસર સ્થિત સુપ્રસિદ્ધ ધામ, ઉમિયા માતાજી મંદિરના મહોત્સવની ઉજવણી અતિ ભવ્ય રીતે થઈ છે. ઉમિયાધામના સર્વાંગી વિકાસ માટે 18.25 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપતા ઉપસ્થિત ભક્તોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, વિકસિત અને શક્તિશાળી ગુજરાતનું નિર્માણ થાય તે માટે રાજ્ય સરકાર હરહંમેશ હરેક સમાજની પડખે ઉભી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતમાં, જામજોધપુર તાલુકાના ઉમિયા માતાજી મંદિર સિદસર ખાતે ઉમિયા માતાજી મંદિરનો રજત જયંતિ મહોત્સવ સ્મૃતિ સમારોહ તથા નવનિર્મિત ઉમિયાધામનો દિવ્ય અને ભવ્ય લોકાર્પણ સમારોહ યોજવામાં આવ્યો હતો.આ પ્રસંગે ઉમિયા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે, યાત્રાધામ વિકાસ માટે પહેલા 3 કરોડ અને ત્યાર બાદ હવે 18.25 કરોડની રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
આ પ્રસંગે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ ઉમિયા માતાજી મંદિરના ભવ્ય ઐતિહાસિકને તેમની વાતોમાં તાજો કર્યો હતો. ઉમિયાધામ મંદિરના વિકાસ માટે રાજ્ય સરકાર તમામ રીતે મદદરૂપ થવા કટિબદ્ધ છે તેમ જણાવ્યું હતું.
કાર્યક્રમમાં ઉમિયાધામ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રીની 1.50 લાખ હિમોગ્લોબીન પિલ્સ વડે તુલા કરી આરોગ્યપ્રદ સમાજના નિર્માણ માટે એક નવતર પહેલ કરી હતી. ઉમિયાધામના ટ્રસ્ટી જેરામભાઈ વાસજાળીયાએ આ પ્રસંગે મંદિર પરિસરના નિર્માણ કાર્યોના દાતાઓના નામ જાહેર કર્યા હતા. આ દાતાઓનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉમિયાધામ સિદસરના પ્રમુખ જેરામભાઈ વાસજાળીયા,પૂર્વ મંત્રી ચીમનભાઈ સાપરિયા, ઉમિયા માતાજી મંદિર સંસ્થા – ઉંઝાના પ્રમુખ બાબુભાઈ પટેલ, સમસ્ત પાટીદાર સમાજ સુરતના પ્રમુખ વેલજીભાઈ શેટા, ધારાસભ્ય ધનજીભાઈ પટેલ તથા ચિરાગભાઈ કાલરીયા, જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ સહિત અનેક મહાનુભવની ઉપસ્થિતી પ્રેરક રહી હતી.