અત્યંત ટુંકા ગાળામાં દેશ-વિદેશના સહેલાણીઓ માટે ફેવરિટ ડેસ્ટિનેશન તરીકે ઊભરેલા ટુરિસ્ટ પોઈન્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, હોટેલ, રીસોર્ટ સહિતની પ્રવાસન સુવિધા શરૂ કરવા જઈ રહ્યું છે. રિલાયન્સ કંપનીએ અહીં જોરશોરથી પ્રવેશવા આયોજનપૂર્વક એક નવી કંપની રિલાયન્સ એસઓયુ સ્થાપી છે. આ કંપનીને હોટેલ-રિસોર્ટ અને સર્વિસ એપાર્ટમેન્ટ તથા હાઉસ બોટ સહિતની સુવિધા ઉભી કરવા યોજનાને કાગળ પર ઊતારવા કહી દેવાયું છે.
રિલાયન્સનું કહેવું છે કે, આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ માટે પ્રથમ રૂા.25 કરોડની શેરમૂડી ફાળવવામાં આવી છે. પ્રોજેક્ટના પ્રથમ ફેસમાં નર્મદા નદીના કિનારે કેવડીયા કોલોની નજીક પ્રવાસીઓ માટે લક્ઝરિયસ રોકાણની સુવિધા ઉભી કરવામાં આવશે અને તબક્કાવાર ટુરિઝમ ડેસ્ટીનેશન પર પણ તે આ પ્રકારની સુવિધા ઉભી કરશે.
ટાટાગ્રુપની કંપની ઈન્ડિયન હોટેલ્સે પણ સરદાર સરોવર નર્મદા નિગમ સાથે ભાગીદારીમાં આ પ્રકારે વિશાળ બે પ્રોપર્ટી ઉભી કરવાની તૈયારી કરી છે. રિલાયન્સે આ ઉપરંત સરદાર સરોવર નિગમ પાસે એક વિશાળ ઉંચા સ્થળે પણ સમગ્ર ડેમ નિહાળી શકાય તે રીતે ટુરિઝમ રિસોર્ટ ડેવલપ કરવા માટે નિર્ણય લીધો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.