ગુજરાત હાઈકોર્ટે અમદાવાદના એક 55 વર્ષીય ફ્રીલાન્સ ફોટોગ્રાફરના જામીન મંજૂર કર્યા છે. આ આધેડ ફોટોગ્રાફર પર એક મોડલનો બળાત્કાર કરવાનો આરોપ લાગ્યો હતો. કોર્ટ આરોપી તરફે દલીલ હતી કે, તે તપાસ દરમિયાન ત્રણ વખત પ્રજનન ક્ષમતાના ટેસ્ટમાં નિષ્ફળ રહ્યો હતો. 27 વર્ષીય મહિલાએ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં 23 ડિસેમ્બરે પ્રશાંત ધાનકની ધરપકડ થઈ હતી. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મોડલિંગ અસાઈમેન્ટની લાલચ આપી તેની સાથે બળાત્કાર થયો છે. મહિલાનું ત્યાં સુધી કહેવું હતું કે, ઘટના નવેમ્બરમાં વિજય ચોકડી વિસ્તારની એક હોટલમાં બની હતી.
સેશન્સ કોર્ટમાં જામીન ફગાવી દેવાયા બાદ આરોપીએ હાઈકોર્ટમાં જામીનઅરજી કરી હતી. આરોપીના વકીલ એફ.એન. સોનીવાલાએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, બળાત્કારની ફરિયાદ એક નપુંસક વ્યક્તિ વિરુદ્ધ દાખલ થઈ છે. પોલીસ તપાસના ભાગરુપે પુરાવા એકત્રીત કરવા તબીબી પરીક્ષક દ્વારા તેનું વીર્ય એકત્ર કરવા ત્રણ વખત પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ મેડિકલ રિપોર્ટમાં જાણવા મળ્યું કે, આરોપી પ્રજનન ક્ષમતાના ટેસ્ટમાં નિષ્ફળ રહ્યો હતો. વકીલે ફોટોગ્રાફરના બચાવમાં એમ પણ કહ્યું કે, મોડલ તેની પાસેથી રુપિયા માંગણી કરી રહી હતી. આ રુપિયા ન મળતાં તેણે ફોટોગ્રાફર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
મહિલા દ્વારા ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેવી દલીલને સમર્થન આપવા માટે વકીલે ત્યાં સુધી રજૂઆત કરી કે, જયારે ત્રીજી વખત આરોપીને મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યો ત્યારે દસ મિનિટ માટે એક વાયબ્રેટર લગાવવામાં આવ્યું હતું અને પછી એક ડોપલર અલ્ટ્રાસાઉન્ડનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરંતુ કોઈ પરિણામ મળ્યું ન હતું, અને એ જ કારણ છે કે, આરોપીએ હજી સુધી લગ્ન કર્યા નથી.
જસ્ટીસ સમીર દવેએ ધાનકને જામીન પર મુક્ત કરતાં ઈજાના પ્રમાણપત્રને પણ ધ્યાનમાં લીધુ હતુ અને કહ્યું કે, પ્રાથમિક દ્રષ્ટિએ આ કોર્ટનો અભિપ્રાય છે કે હાલના અરજદાર વિરુદ્ધ ફરિયાદ એક ગુપ્ત હેતુથી દાખલ કરવામાં આવી હતી. કોર્ટે એમ પણ કહ્યું કે ટ્રાયલ પૂર્ણ થવામાં સમય લેશે અને જયુડિશિયલ કસ્ટડીમાં ધાનકની હાજરી જરુરી નથી.