દાહોદમાં જનમેદની વચ્ચે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ આદિવાસી સત્યાગ્રહનો પ્રારંભ કરાવ્યો હતો. સત્યાગ્રહ પત્રનું વાચન જગદીશ ઠાકોરે કર્યુ હતું. સભામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, તાપી અને વેદાંતા પ્રોજેક્ટ સામે આંદોલન કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. આ સિવાય સત્યાગ્રહ માટેની કીટને રાહુલ ગાંધીએ ખુલ્લી મુકી હતી. આ સિવાય સત્યાગ્રહ એપને રાહુલ ગાંધીએ ખુલ્લી મુકી હતી તેમજ સત્યાગ્રહની વેબસાઈટ www.adiwasisatyagrah.inનો પણ રાહુલ ગાંધીના હસ્તે આરંભ કરાયો છે. આદિવાસી સત્યાગ્રહનો પ્રારંભ કરાવી આદિવાસી સમાજના જળ, જમીન અને જંગલ સહિતના અધિકારો માટે સંઘર્ષનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે.
દાહોદમાં આદિવાસી સંમેલનને સંબોધન કરતાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે આ એક પબ્લિક મિટિંગ નથી પરંતુ એક સત્યાગ્રહની શરૂઆત છે. 2014માં નરેન્દ્ર મોદી પીએમ બન્યા. જે કામ એમણે ગુજરાતમાં શરૂ કર્યુ તે આજે ભારતમાં કરી રહ્યા છે. જેને ગુજરાત મોડલ કહેવામાં આવે છે. આજે બે ભારત બની રહ્યાં છે, અમીરોના હિન્દુસ્તાનમાં નક્કી કરેલા ઉદ્યોગપતિ અને બ્યુરોક્રેસ્ટ છે. જેમની પાસે સત્તા, ધન અને અહંકાર છે. જેમાં કોઈ કાયદો નથી. બીજું ભારત ભારતની આમ જનતાનું હિંદુસ્તાન છે. જેમાં કોરોનામાં મરવા દવાખાને જવાનું છે. કોંગ્રેસને બે ભારત નથી જોઇતાં. કોંગ્રેસને એવું ભારત જોઇએ કે જેમાં સૌને સમાન હક્ક હોય બધાને તમામ સુવિધા મળે. તેમણે ગુજરાતમાં છત્તીસગઢની જેમ ગુજરાતમાં ગરીબ બાળકો માટે અંગ્રેજી માધ્યમની સ્કૂલો શરૂ કરીશું એવું વચન પણ આપ્યું છે.
રાહુલ ગાંધી ‘આદિવાસી સત્યાગ્રહ રેલી’ને સંબોધન કરવા દાહોદ પહોંચ્યા હતા ત્યારે પ્રચંડ જનમેદનીએ બે હાથ ઊંચા કરી તેમને આવકાર આપ્યો હતો, તેમજ સમગ્ર સભામંડપ જય આદિવાસી, જય જોહર અને લડેંગે-જીતેંગેના નારાથી ગુંજી ઊઠ્યો હતો. રાહુલ ગાંધીનું સ્વાગત કરવા સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, આદિવાસી સમાજ તમને વચન આપે છે કે 27 ટ્રાઇબલ સીટ કોંગ્રેસ જીતશે.
પૂર્વ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ સભાને સંબોધન કર્યું હતું. રાહુલ ગાંધીનું સ્વાગત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર તેમજ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, ગુજરાત ઇન્ચાર્જ રઘુ શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું. હર્ષદભાઈ નિનામા દ્વારા પરંપરાગત રીતે રાહુલ ગાંધીને ચાંદીનો કંદોરો પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાજપમાં જવાની અટકળો વચ્ચે પાટીદાર નેતા અને કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ પણ દાહોદની રેલીમાં સ્ટેજ પર હાજર હતા.