ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના મહિનાઓ બાકી છે. ભાજપ માટે કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી અત્યાર સુધી હરિફ પક્ષ તરીકે સામે છે ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિની નેતા દિનેશ બાંભણીયાએ પણ હવે ચૂંટણી લડવાની જાહેરાત કરતા રાજકારણ ગરમાયું છે. ગુજરાતમાં લગભગ દોઢ દાયકા બાદ આ વખતે કંઈક અલગ વાતાવરણ ચૂંટણી બાબતે ઊભું થઈ રહ્યું છે.
એકતરફ ક્રાંતિ ચોકથી સરદાર પ્રતિમા માનગઢ ચોક પાટીદાર અનામત આંદોલન સમિતિની તિરંગા યાત્રા ચાલી રહી હતી ત્યાં આંદોલન સમિતિના નેતા દિનેશ બાંભણીયાએ ચૂંટણી લડવાની જાહેરાત કરતું ટ્વિટ કરતાં ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. તેમણે ટ્વીટ કર્યું છે કે, 2022ની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનના 23 નેતાઓ ઉમેદવારી કરશે. પાટીદાર આગેવાનોની ચૂંટણી લડવાની સંખ્યા વધી પણ શકે છે તેવા સંકેત પણ આ સાથે આપ્યા છે. આ નામોની જાહેરાત પણ ટુંક સમયમાં સામે આવી જશે તેવા અણસાર પાટીદાર અનામત આંદોલનની નેતાગીરી આપી રહી છે.
PAAS દ્વારા 28 ઓગસ્ટે સુરત ખાતે તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા આઝાદીના 75 વર્ષ અંતર્ગત આ આયોજન કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ પાટીદાર અનામત આંદોલનના 7 વર્ષ પૂર્ણ થયા છે.
25 ઓગસ્ટના રોજ પાટીદાર ક્રાંતિ દિવસ ઉજવાયો હતો. 26 ઓગસ્ટના રોજ પાટીદાર શહીદ દિવસની ઉજવણી કરાઈ હતી. શહીદોને શ્રદ્ધાંજલિના ભાગરૂપે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું.
સુરતના ક્રાંતિ ચોકથી નીકળીને સરદાર પ્રતિમા માનગઢ ચોક ખાતે આ યાત્રા સંપન્ન થઈ. વિધાનસભાની ચૂંટણી પહેલા પાસનું તિરંગા પદયાત્રા સ્વરૂપે આ પાસનું શક્તિ પ્રદર્શન તરીકે જ જોવામાં આવતું હતું અને એ રીતે તૈયારીઓ ઘણા દિવસોથી જોરમાં ચાલી હતી.
પાટીદાર અનામત આંદોલન સમિતિની આ તિરંગા યાત્રામાં દિનેશ બાંભળિયા, અલ્પેશ કથીરિયા સાથે પૂર્વ મંત્રી કુમાર કાનાણી, મહેશ સવાણી સહિતના આગેવાન જોડાયા હતા. મોટી સંખ્યામાં પાટીદાર આગેવાનો અને કાર્યકર્તાઓ પણ આ યાત્રામાં પ્રભાવક સંખ્યામાં હાજર હતા. ધાર્મિક માલવિયાએ જણાવ્યું હતું કે પાટીદાર અનામત આંદોલન દરમ્યાન શહીદના પરિવારોના ન્યાય આપવાની તેમજ આંદોલન દરમિયાન જે પોલીસ કેસો થયા છે તે પાછા ખેચવા આગામી દિવસોમાં રણનીતિની જાહેરાત થશે.