વૃદ્ધ સાસુને અસહ્ય ત્રાસ આપતી વહુને પતિ-પત્નીના સબંધોમાથી મુકત કરી, પતિની છુટાછેડાની અરજી મંજુર કરતો ચૂકાદો આજે સુરતની કોર્ટમાં આવ્યો છે. સમાજમાં સ્વચ્છંદીપણાના વ્યાપ સામે આ ચૂકાદો નિશ્ચિત સિમાચિન્હરૂપ છે. અદાલતે ચૂકાદામાં એવું સ્પષ્ટ નોંધ્યું હતું કે, મરણ પથારીએ પડેલા પિતાની સારવારમાં જતા રોકવું એ બાબત ક્રુરતા સમાન જ છે.
શહેરના અડાજણ વિસ્તારમાં રહેતા અરજદાર પતિ રાજેશના લગ્ન વેરાવળ રહેતા મનિષા બરફીવાલા ( બંને પક્ષકારોના નામ બદલ્યા છે) સાથે ૨૦૧૫માં થયા હતા. બંને પક્ષકારોને લગ્નજીવન થકી સંતાનમાં એક પુત્રીનો જન્મ થયો હતો અને જે સામાવાળાની માતા સાથે રહેતી આવી છે. અરજદાર પતિ સામાવાળા પત્નીને લગ્ન કરીને સુરત મુકામે સંયુક્ત કુટુંબમાં લગ્નજીવન આબાદ કરવા માટે લાવ્યા હતા, લગ્ન બાદ પતિએ પોતાની તમામ ફરજો અને જવાબદારીઓ અદા કરતા હતા પત્નીને ખુબ જ સારી રીતે રાખતા હતા.
પત્ની પતિ સાથે રહેવા આવી અને ટુંક સમયમાં જ પત્નીએ પતિ સાથે નાની નાની બાબતે લડાઇ ઝગડો શરૂ કર્યો હતો. પત્નીએ લગ્ન કરીને આવ્યા ત્યારથી જ માતા-પિતાથી અલગ રહેવા માટે દાબદબાણ કરવા માંડ્યું હતું અને એ પતિ સાથે હરહમેશ કજીયોકંકાસ કરવા લાગી હતી. એટલું જ નહીં પતિની ગેરહાજરીમાં સાસુ-સસરાને પણ સતત ત્રાસ આપતી હતી. વૃદ્ધ માતા-પિતાનું અપમાન કરવા સાથે હદપાર વટાવી મારઝુડ પણ કરતા હતા. પત્ની માતા-પિતાની કોઇ કાળજી દરકાળ રાખતા નહી અને પતિ કાળજી રાખે તો તેની સાથે પણ પત્ની લડાઇ ઝગડો કરતી હતી. એકવખત તો પત્નીએ સંબંધોની મર્યાદાને તાર-તાર કરી દેતાં સાસુને તમાચો મારી દીધો હતો અને સસરાને પણ ધકકો પણ માર્યો હતો
૨૦૧૭ માં અરજદારના પિતાનું અવસાન થયું તો સસરાની મરણવિઘીમાં પણ પત્ની હાજર રહ્યા ન હતા. આ બાબતે પત્નીએ ખુબ જ લડાઇ ઝગડો કરતાં પતિએ સમાજમાં નીચુ જોવાનો વારો આવ્યો હતો. એ અગાઉ એક ઘટનામાં તો, અરજદારના પિતા હોસ્પિટલમાં દાખલ હતા અને મરણ પથારીમાં હતા ત્યારે પણ પત્નીએ પતિને તેમની પાસે મુંબઇ જતા રોકવા બાબતે ઝગડો કર્યો હતો. માંડ-માંડ પતિ મુંબઇ મુકામે જઇ પરત માતા-બાપને લઇને સુરત આવવાની વાત કરતા સામાવાળા પત્નીએ અરજદાર પતિ સાથે લડાઇ ઝગડો કર્યો હતો. પત્નીએ આ હદે ક્રુરતા પતિ સાથે આચરીને પતિનો કોઇ પણ વ્યાજબી કારણો વગર ત્યાગ કરી ૨૦૧૭થી પોતાના પિયરમાં રહેતા આવી ગયા હતા.
પતિએ આ બાબતે નાછૂટકે સુરત ફેમિલી કોર્ટમાં એડવોકેટ પ્રીતિ જિજ્ઞેશ જોષી તથા નિખીલ આર. રાવલ દ્રારા ક્રુરતાના આધારે છુટાછેડાનો કેસ દાખલ કર્યો હતો. કેસમાં આખરી ચુકાદો સુરત ફેમિલી કોર્ટના સેકન્ડ જજ આઇ.બી. પઠાણે પતિનો છુટાછેડાનો દાવો મંજુર કર્યો છે. દાવો મંજૂર કરવા સાથે કોર્ટે જે ગંભીર નોંધ લીધી છે એ અનુસાર, (૧)… સાસુ-સસરાની સેવા ન કરવી (૨) પતિને તેમના માતા-પિતાથી અલગ રાખવા માટે દબાણ કરી ઝગડો કરવો (૩) સસરાના અવસાન વખતે વિઘીમાં પત્નીનું ગેરહાજર રહેવું (૪) સાસુ સસરાને ત્રાસ આપી મારઝુડ કરવી (૫) પતિને પિતાની સારવાર કરાવવા મુંબઇ જતા અટકાવવા આ તમામ બાબતો ગંભીર ક્રુરતા સમાન છે.