અરવલ્લીની ગિરિમાળાઓમાં વિરાજમાન જગતજનની માં અંબાનું વિશ્વવિખ્યાત ધામ હાલ વિવાદોમાં સપડાયું છે. સૈકાઓથી ચાલતો મોહનથાળનો પ્રસાદ ગત 3 માર્ચથી બંધ કરવામાં આવતાં શ્રદ્ધાળુંઓ વ્યથિત હતા ત્યારે આજે ગાંધીનગર ખાતે એક બેઠક બાદ નિર્ણય આવ્યો છે કે, અંબાજી ધામમાં મોહનથાળ અને ચિકિ બંનેનો પ્રસાદ ભક્તોને મળશે. માં અંબાના ચરણે લાખોની સંખ્યામાં ભક્તો પહોંચતા હોય છે. જોકે,આજે બેઠક બાદ વિવાદના અંતની જાહેરાત કરતાં ઋષિકેશ પટેલે એવું નિવેદન આપ્યું હતું કે,”ગુણવત્તાના કારણે નિર્ણય લીધો હતો” સોશિયલ મીડિયા પર ઋષિકેશ પટેલના આવા નિવેદનો સામે પણ લોકો પોતાનો રોષ ઠાલવતાં જોવા મળ્યા છે. મોહનથાળ પ્રસાદ ચાલુ રાખવાના નિર્ણયની જાહેરાત રાજ્ય સરકારે વિધાનસભામાં કરી અને મોહનથાળની ગુણવત્તાના પર વિશેષ ધ્યાન રાખવાનું નક્કી થયું છે.
એકતરફ જ્યાં ગાંધીનગર ખાતે મોહનથાળ વિવાદનો અંત લાવવા બેઠક ચાલી રહી હતી ત્યાં અલગ અલગ સંગઠનો અને સમાજ સાથે ભક્તો પણ અડગ મનથી મોહનથાળને પ્રસાદ તરીકે ચાલુ રાખવાની માગણી કરી રહ્યા હતા. સવારે મોહનથાળના પ્રસાદને બાબતે અંબાજી ગામની મહિલાઓ પણ વિરોધના માર્ગે આવી પહોંચી હતી અંબાજી મંદિરના સાત નંબર ગેટ પાસે મહિલાઓનું અનોખું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મહિલાઓ દ્વારા આનંદનો ગરબો કરીને ચીકીના પ્રસાદનો વિરોધ દર્શાવ્યો હતો. આનંદનો ગરબો કર્યા બાદ છાતી કૂટીને હાય હાયના નારા લગાવ્યા હતા. ‘હાય રે ચીકી હાય હાય’, ‘ક્યાંથી આવી ગાંધીનગરથી આવી’ તેવા આ મહિલાઓએ નારા લગાવ્યા હતા. મોહનથાળ પ્રસાદ ફરી ચાલુ કરવા માટે માગ કરવામાં આવી હતી.
ગાંધીનગર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની બેઠક મળી હતી. બેઠકમાં ઋષિકેશ પટેલ તેમજ અંબાજી મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો અને ભક્તોની હાજરી હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણયની જાહેરાત કરતાં ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, બહોળી લાગણીને જોતાં નક્કી થયું છે કે, અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ ચાલુ રહેશે. ચિક્કી અને મોહનથાળ બંનેનો પ્રસાદ ચાલુ રહેશે સાથે તેમણે એમ પણ જણાવ્યું હતું કે, “ગુણવત્તાના કારણે નિર્ણય લેવામાં આવ્યો હતો, મોહનથાળમાં ફૂગ આવવાની ફરિયાદ હોવાથી તેને બંધ કરવાનું નક્કી થયું હતું” ભક્તોએ મોહનથાળનો પ્રસાદ બંધ થવા સામે જે રોષ દર્શાવ્યો એ જોતાં ફરી પ્રસાદમાં મોહનથાળ શરૂ કરવાનું નક્કી થયું છે અને સાથે ચિક્કી પણ આપવામાં આવશે. મોહનથાળની ગુણવત્તા સામે પ્રશ્ન ઊઠાવાતાં ભક્તોએ આ મુદ્દો સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવા માંડ્યો હતો. મોહનથાળની ગુણવત્તા બાબતે સરકારે વિશેષ ધ્યાન આપવાની પણ આ સાથે આજે જાહેરાત કરી છે.