રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ગયા અઠવાડિયે એક મોટો નિર્ણય લીધો અને નોટબંધીની યાદો ફરી તાજી કરી. સેન્ટ્રલ બેંકે શુક્રવારે કહ્યું કે 2000 રૂપિયાની નોટ ચલણમાંથી બહાર કાઢવામાં આવી રહી છે. આ નિર્ણય પર સમાજના તમામ વર્ગોમાંથી વિવિધ પ્રતિક્રિયાઓ મળી હતી. ઘણા લોકો કહે છે કે આ નિર્ણયથી અર્થવ્યવસ્થાને વેગ મળશે, જ્યારે ઘણા લોકો તેને નોટબંધી જેવો ઘાતક ગણાવી રહ્યા છે. માર્કેટમાં રસ ધરાવતા લોકોના મનમાં એક સવાલ ઉઠી રહ્યો છે કે આ નિર્ણયની આગામી દિવસોમાં બજાર પર કેવી અસર પડી શકે છે. ગુજરાતના આર્થિક પાટનગર સુરતમાં તેની વિવિધ અસરોએ દેખાવાનું શરૂ કરી દીધું છે. સુરતમાં હાલ બે સેક્ટર એવા છે જ્યાં 2000ની નોટની અસરો વ્યાપક બનીને બહાર આવી છે જેમાં રિઅલ એસ્ટેટ અને ગોલ્ડ માર્કેટનો સમાવેશ થાય છે.
સેન્ટ્રલ બેંકના જણાવ્યા અનુસાર, 31 માર્ચ, 2018ના રોજ, 2000 રૂપિયાની નોટોનું સર્ક્યુલેશન 6.73 લાખ કરોડ રૂપિયા હતું, જે 31 માર્ચ, 2023ના રોજ ઘટીને 3.62 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. આ નોટો ચલણમાં રહેલી તમામ નોટોના માત્ર 10.8 ટકા છે. જેનો સીધો અર્થ તો એ જ સરે છે કે, લોકોએ તેની વિદાયને પહેલેથી જ સ્વીકારી લીધી હતી. જે 10.08 ટકા છે તેમાં મોટા ગજાના અને બે નંબરના વ્યવહારોની શક્યતા વધુ જોવાઈ રહી છે. મંદીના મારમાં સામાન્ય પરિવારો પાસે એકલ-દોકલ નોટ હોય તેનો કોઈ હિસાબ કે પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.
હવે વાત કરીએ સુરતની તો, 2000ની નોટબંધીની જાહેરાત ન થઈ હતી એ શુક્રવારની સવારે સોનાના બિસ્કીટનો ભાવ હતો. 6.15 લાખ રૂ. શુક્રવારની મોડી સાંજે જેવી જાહેરાત થઈ કે, 2000ની નોટ હવે આપણી વચ્ચે લાંબો સમય નથી રહેવાની તો સ્થિતિ ઝડપભેર અહીં બદલાવા લાગી. આજે હવે સોનાના બિસ્કીટના ભાવની વાત કરીએ તો, રૂ. 500ની નોટમાં બિસ્કીટનો ભાવ રૂ. 6.24 લાખ છે પરંતુ જો તમે એ બિસ્કીટ 2000ની નોટ આપીને લેવા જઈ રહ્યા છો તો જ્વેલર્સ તમારી પાસે એ જ બિસ્કીટનો ભાવ રૂ. 6.48 લાખ વસૂલશે.
બજાર વર્તુળોનો તો દાવો છે કે, તમે જોઈ લેજો, આ ભાવ જતાં દિવસે 7.25 લાખ સુધી પહોંચી જશે. એટલે કે લોકો સોનું ખરીદવામાં વધુ ડહાપણ સમજી રહ્યા છે. નોટબંધી બાદ ફરી એકવખત જ્વેલર્સ ચિત્રમાં છે. હવે જો લોકો સોનું ખરીદવા દોટ મુકતાં હોય તો સમજી લો કે, જમીનના ભાવોમાં લોચા પડી રહ્યા છે. હવે સમજીએ આપણે કે, 2000ની નોટની વિદાયની વાતો સાથે જ સુરતના રિઅલ એસ્ટેટ પર શું અસરો વર્તાઈ રહી છે.
રિઅલ એસ્ટેટની વાસ્તવિક્તાઓ જાણવા ગુજરાત બ્રેકિંગે સંપર્ક કર્યો, વરાછા વિસ્તારના ખુબ જાણિતા અને અભ્યાસુ એવા બિઝનેશમેન જગદીશભાઈ સાપરાનો. લાંબો અનુભવ અને વ્યવસાયમાં ઊંડાણ ધરાવતાં જગદીશભાઈનું કહેવું છે કે, રિઅલ એસ્ટેટ જંત્રીભાવની ઉથલપાથલ વખતથી જ મંદીનો માર ઝીલી રહ્યો હતો. જંત્રી ફાઈનલ થયા બાદ સોદાઓ શરૂ થાય તેવી બજારને આશા હતી પરંતુ 2000ની નોટને વિદાય સાથે ફરી રિઅલ એસ્ટેટ હતો ત્યાંનો ત્યાં એટલે કે તળીયે આવીને બેસી ગયો છે. સૌરાષ્ટ્ર અને સુરતના મોટા ભાગના વિસ્તારોમાં કાચી ચીઠ્ઠીઓનો વહીવટ જ પ્રચલિત છે ત્યાં નોટબંધી પાર્ટ-2ની જાહેરાત સાથે જ એવું કહેવામાં સહેજે અતિશયોક્તિ નથી કે ખાસ કરીને વરાછા, કાપોદ્રા, સિમાડા, કામરેજ લસકાણા બીજીતરફ ઓલપાડ સહિતના વિસ્તારોમાં 80 ટકા જેટલા સોદાઓ હાલ મુલત્વી અથવા સ્થગિત થઈ ચૂક્યા છે.
સુત્રોનું માનીએ તો. 2000ની નોટ બંધ થવાને કારણે લોકોએ પેમેન્ટ કન્ડિશન ફરીથી નક્કી કરવી પડે તેમ હોવાથી સુરતનો રિઅલ એસ્ટેટ હાલ મંદીમાં સપડાઈ ગયો છે. જેની અસર લાંબા ગાળે અન્ય વ્યવસાયો પર પણ દેખાઈ શકે છે. હાલ તો થોભો અને રાહ જોવોની નીતિ અપનાવવામાં વ્યવસાય સમજદારી માની રહ્યો છે.