ભગવાનના આશીર્વાદ મેળવવા પતિ-પત્ની એકસાથે મંદિરે જાય છે. શાસ્ત્રોનું વિધાન છે કે, પૂજા પણ એકસાથે જ કરવી જોઈએ. પરંતુ શિમલામાં રામપુર નામની જગ્યાએ શેરાઈકોટી માતાનું મંદિર છે. આ મંદિરમાં પતિ-પત્નીને એકસાથે માતાના દર્શન કરવા કે પૂજા કરવાની મનાઈ છે અને જો આ પછી પણ દંપતી સાથે પૂજા કરે છે કે દર્શન કરે છે તો તેમને સજા ભોગવવી પડે છે. વિધીના આ વિચીત્ર વિધાન પાછળ એક પૌરાણિક કથા છે.
એકવાર ભગવાન શિવે તેમના બે બાળકો, કાર્તિકેય અને ગણેશની સામે એક શરત મૂકી કે, બેમાંથી જે પણ પ્રથમ સમગ્ર બ્રહ્માંડની પરિક્રમા કરશે. તેના પહેલા લગ્ન થશે. કાર્તિકેય પોતાના વાહન મોર સાથે બ્રહ્માંડની પરિક્રમા માટે નીકળ્યા. પરંતુ ગણેશજી હોંશિયાર રહ્યા, તેમણે માતા પાર્વતી અને શિવની પ્રદક્ષિણા કરી અને કહ્યું કે સમગ્ર બ્રહ્માંડ માતા-પિતાના ચરણોમાં છે. જે બાદ ગણેશના પહેલા લગ્ન થયા હતા. જ્યારે કાર્તિકેયે બ્રહ્માંડની પરિક્રમા કરી અને જોયું કે ગણેશ વિવાહિત છે, ત્યારે તેને ખૂબ જ દુઃખ થયું. ગુસ્સામાં તેમણે ક્યારેય લગ્ન નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી.
કાર્તિકેયની આ વાતથી માતા પાર્વતી દુઃખી થઈ ગયા અને તેમણે કહ્યું કે જે પતિ-પત્ની આ મંદિરમાં તેમને જોવા માટે ભેગા થશે તેઓ અલગ થઈ જશે. એટલા માટે આજે પણ આ મંદિરમાં પતિ-પત્ની એકસાથે પૂજા નથી કરતા. દૂર-દૂરથી લોકો અહીં શ્રી કોટી માતાના દર્શન કરવા આવે છે. જો કે, જ્યારે પતિ-પત્ની અહીં મળવા આવે છે, ત્યારે તેઓ માતાના અલગ-અલગ જ દર્શન કરે છે.