એકસમય હતો જ્યારે એસટી ખોટ ખાઈ રહી હોવાના નામે ખખડધજ વાહનોમાં જીવના જોખમે સવારી કરવી પડતી હતી. હવે હાલત એ છે કે, રાજય સરકાર પાછલા ઘણાં વર્ષોથી એસ.ટી. નિગમમાં નવી બસો ઉમેરી રહી છે. આ બસો ખાનગી લક્ઝરી બસોને ટક્કર પણ આપી રહી છે. સુરત સહિત રાજ્યનાં ડિવિઝનોને સમયાંતરે ડિઝલની તથ લકઝરી, સ્લિપર અને મિની બસ મળવાથી મુસાફરોને રાહત થઈ રહી છે.
એસ.ટી. નિગમનું કહેવું છે કે, 2023ના આ ચાર મહિનાના સમયગાળામાં એસ.ટી. નિગમનાં નરોડા વર્કશોપ ખાતે તૈયાર થયેલી 500 જેટલી નવી સ્લિપર, લકઝરી અને મીની બસોનું લોકાર્પણ થઈ ચૂકયું છે. આ બસો રોડ ઉપર દોડીને મુસાફરોની સુખાકારી વધારી રહી છે. નિગમનું તો ત્યાં સુધી કહેવું છે કે, નરોડા વર્કશોપ ખાતે હાલમાં પણ દર મહિને 90થી 95 જેટલા નવા વાહનો તૈયાર થઈ રહ્યા છે. હવે નવસારી ખાતે વધુ એક લોકાર્પણના કાર્યક્રમની તૈયારી નિગમ કરી રહ્યું છે. 125 જેટલી લક્ઝરી, સ્લિપર, અને નવી મીની બસોનો લોકાર્પણ કાર્યક્રમ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં નવસારી ખાતે આગામી તા.29મી એ યોજાવા જઈ રહ્યો છે.
આ કાર્યક્રમમાં સૌથી વધુ બસ સુરત ડિવિઝનને મળવાની છે. ડિવિઝન પ્રમાણે સંખ્યા પર નજર કરી એ તો, અમદાવાદને 27 સુરતને 33, વલસાડને 30, તથા ભુજને 2, ભરૂચને 17, વડોદરાને 9, હિંમતનગર ને 1, નડીયાદને 2, પાલનપુરને 3 અને રાજકોટ ડિવિઝનને 1 નવી બસ ફાળવવામાં આવશે.