ગુજરાતમાં દારૂબંધી છે. પોલીસ દર વર્ષે જ રાજ્યભરમાંથી ગેરકાયદે પકડાતાં કરોડો રૂપિયાના દારૂનો જથ્થો જપ્ત કરે છે. સમયાંતરે કોર્ટ આદેશ મુજબ આ જથ્થાનો નાશ કરે છે. દારૂના જથ્થાનો નાશ કરવાના બદલે અન્ય રાજયોમાં વેચી જે આવક થાય તે પોલીસ વેલફેર ફંડમાં જમા કરાવવા ધોરાજી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલીત વસોયાએ મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો કર્યું છે.
લલીત વસોયાએ મુખ્યમંત્રીને સૂચન કરતાં પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, ગુજરાત રાજયમાં દર વર્ષે પોલીસ દ્વારા લાખો-કરોડો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો પકડવામાં આવે છે જેને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં બુલડોઝર ફેરવી વોસ કરવામાં આવે છે.
ગુજરાત કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલીત વસોયાએ મુખ્યમંત્રીને પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, જપ્ત થયેલા દારૂનો નાશ કરવા કરતા અન્ય રાજયોમાં વેચાણ કરવો જોઈએ અને તેમાંથી જે આવક ઊભી થાય તેને પોલીસ વેલફેરમાં જમા કરવી જોઈએ.
લલીત વસોયાએ પત્રમાં જણાવ્યુ કે મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલમાં છે. કાયદાના પાલન માટે ગુજરાતમાં દરેક પાર્ટી સરકારના કાયદાનુ કડક પાલન થાય એના માટે પ્રયત્ન કરે છે. છતાંયે રાજયમાં કરોડો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ગુજરાત પોલીસ દ્વારા પકડવામા આવે છે.
ગુજરાત વિધાનસભામાં રાજય સરકારે આપેલા આંકડા મુજબ 2020 અને 21ના વર્ષમાં 215.6252205 કરોડનો વિદેશી દારૂ તથા 16.2005848 કરોડ રૂપિયાનો બીયરનો જથ્થો જપ્ત કર્યો છે.