હિન્દુ ધર્મના પૂજાપાઠ અને તેના રીતિરિવાજો પ્રકૃતિને આધારિત હોય છે. વૃક્ષો અને પશુ-પક્ષીઓની પૂજા તેમને થતો કોઈપણ રીતનો ચડાવો એ પુણ્યકર્મ તરીકે જોવાય છે. આપણા મોટાભાગના ઘરોમાં સવારનો પહેલો રોટલો ગાયને ખવડાવવામાં આવે છે. આ પરંપરા આપણા દેશમાં સદીઓથી ચાલી આવે છે. કદાચ તમારા ઘરમાં પણ સવારનો પહેલો રોટલો ગાયને અને છેલ્લો રોટલો કૂતરાને ખવડાવવામાં આવતો હશે. છેલ્લા ઘણા વર્ષોથી આધિ-વ્યાધિ અને ઉપાધિના દિવસો ચોમેર ઘેરાયેલા છે. લોકો મનની શાંતિ માટે કોઈકને કોઈક ઉપાયોના શરણમાં છે ત્યારે દાનની પ્રક્રિયા પર ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ ( આઈઆઈએમ-એ)નો એક સરવે આ બાબતે ઘણી રીતે સૂચક બનીને બહાર આવ્યો છે. હકીકતમાં એ અભ્યાસનું તારણ એવું આવ્યું છે કે, ગાયો માટે દાતાઓની સંખ્યા વધારે છે પરંતુ કુતરાઓ પાછળ નાણાં ખર્ચ કરતાં લોકોની સંખ્યા વધારે છે. આપણે આ હકીકતનું શાસ્ત્રોક્ત અને વિવિધ પાસાઓ ઉજાગર કરવાનો પ્રયત્ન કરીએ એ પૂર્વે જોઈશું કે, અમદાવાદ આઈઆઈએમનો સરવે શું કહે છે.,
ઓનલાઇન ડોનેશન પેટર્ન પર ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ (આઇઆઇએમ એ) દ્વારા એક અભ્યાસ કરવામાં આવ્યો છે. ગાયો માટે દાતાઓ વધારે છે પરંતુ દાનની રકમ કુતરાઓને વધારે મળે છે એવું આ અભ્યાસનું તારણ છે. આવું કેમ થઈ રહ્યું છે એ જાણવા ગુજરાત બ્રેકિંગ દ્વારા ધ્યાનગુરુ જ્યોતિષ દિવ્યાંગ ભટ્ટ સાથે પણ વાત કરી.
આઇઆઇએમ-એનાં માર્કેટીંગના પ્રોફેસર સૌરવ બોરાહે પોતાના વિદ્યાર્થી સાઇ સિધ્ધાર્થ વી કે સાથે મળી સૌથી અલગ એવો આ અભ્યાસ ભારતમાં ઓનલાઇન ડોનેશન પર કર્યો હતો. ગાયો માટે દાન કરનારાઓની એક મોટી સંખ્યા છે જે એક નિશ્ચિત રકમ દાન કરતા હોય છે. જ્યારે કુતરા માટે દાન કરનારાઓની સંખ્યા નાની છે પરંતુ તેઓ ગૌ માટે દાન કરતા લોકોથી બે થી અઢી ગણી રકમ દાન કરે છે. રીસર્ચર્સનું કહેવું છે કે, ભારતમાં ગાય માટેનું દાન એ સાર્વત્રિક બાબત છે પણ કુતરાઓ માટે દાન કરનારા મોટાભાગે અર્બન વિસ્તારના છે.
રિસર્ચના આંકડાઓ પર નજર કરીએ તો, લોકો પશુકલ્યાણ અથવા પશુઓના હક માટે દાન કરવાની વાત આવે ત્યારે ગાય માટે સામાન્ય રીતે 1000 રૂ.નું દાન કરવામાં આવે છે જ્યારે પશુઓ માટે સરેરાશ 1600 રૂ. દાન કરે છે. ગાયના દાન માટે વાર-તહેવાર જોવામાં આવે છે જ્યારે અન્ય પશુઓ માટેના દાતા એ બાબતે વધારે નિયમીત હોવાનું તારણ પણ આ અભ્યાસમાં બહાર આવ્યું છે.
જોકે દાન માટેની ભાવનાઓમાં ખુબ મોટું અંતર છે. ઉદાહરણ આપતાં સાઇ સિધ્ધાર્થ કહ્યું કે ગાયો માટે દાન કરનારાઓને આભાર રૂપે છાણમાંથી બનેલ દિવા અથવા બાળકોના અભ્યાસ પરના કેલેન્ડરો મોકલવામાં આવ્યા તો દાતાઓએ કહ્યું કે અમારે આવી રિટર્ન ગિફ્ટ નહીં જોઇએ. ગાયો માટે અપાયેલા દાનના નાણા બીજી કોઇપણ રીતે વેડફાય એ ગૌભક્તોને પસંદ પડ્યું ન હતું.
હિન્દૂ ધર્મમાં ગાયને ગૌ માતા તરીકે સંબોધાય છે. પ્રાચીન કાળમાં ઋષિ મુનિથી લઈને મોટા રાજાઓ સુધી ગાયો પાળતા હોવાનો તેમની ચાકરી કરતા હોવાનો ઉલ્લેખ હોય તેવા સેંકડો પ્રસંગો મળી આવશે. હિન્દુ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે, ગાયની સેવા કરવાથી પુણ્ય મળે છે. જોકે, હાલનું જ્યોતિષ આ બાબતે અલગ દિશામાં ફંટાઈ રહ્યું હોવાથી દાનપુણ્ય બાબતે ફરક આવી ગયો છે. સાત્વિક ગ્રહ ગુરુની કૃપા પ્રાચીન કાળમાં જીવન માટે સૌથી મહત્વની માનવામાં આવતી હતી ત્યારે લોકો ખાસ કરીને ગુરુ ગ્રહને મજબૂત કરવા ગાયની પૂજા અને સેવા કરતાં હતા. હવે કળિયુગના પ્રભાવમાં લોકો રાહુ-કેતુ જેવા ગ્રહોની કૃપા પર વધારે ભાર મૂકી રહ્યા છે અને એટલે જ લોકો કૂતરાની સેવા પાછળ વધારે દોડી રહ્યા છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈની કુંડળીમાં શનિ કે રાહુ કેતુનો દોષ હોય તો તેમણે દરરોજ રાતના અંતે બનેલી રોટલી કૂતરાને ખવડાવવી જોઈએ. આમ કરવાથી તમારી કુંડળીના દોષો દૂર થઈ જાય છે. બુધ ગ્રહની શુભતા મેળવવા અને તેની સાથે જોડાયેલા દોષોને દૂર કરવા માટે ગાયને લીલું ઘાસ ખવડાવો. ધ્યાન રાખો કે પૃથ્વી અને ગાય બંને શુક્ર ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે લીલું ઘાસ બુધ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે. ગ્રાસ એટલે બુધ અને પૃથ્વી એટલે શુક્ર. આવી સ્થિતિમાં લીલું ઘાસ ખાવાથી ગાય ખુશ થાય છે અને તમને બુધની કૃપા પણ મળે છે.