ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા તેના અંતિમ તબકકા તરફ પહોંચી ચૂકી છે. 30 માર્ચથી ધો.10 અને ધો.12 સામાન્ય પ્રવાહ તથા સાયન્સની ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી શરૂ થઈ જાય તેવી વ્યવસ્થા બોર્ડ ગોઠવી રહ્યું છે. આ વખતે સમયસર પરિણામો મળે એ માટે ધો.10 અને ધો.12માં 68 હજાર શિક્ષક મૂલ્યાંકન કામગીરીમાં જોડાવાના છે. વિદ્યાર્થીઓના પરિણામ નિયત સમયે જાહેર થાય એ પ્રાથમિક્તા બોર્ડ જોઈ રહ્યું છે. રાજયમાં 363 કેન્દ્ર ઉત્તરવહી મૂલ્યાંકન માટે નકકી કરવામાં આવ્યા છે. 29 માર્ચના રોજ બોર્ડની તમામ પરીક્ષાઓ પૂર્ણ થઈ જશે.
શિક્ષણ બોર્ડ દ્વારા ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી બોર્ડની તમામ પરીક્ષા પૂર્ણ થાય ત્યારબાદથી જ ઝડપભેર શરૂ થઈ જશે. હાલમાં ધો.10 અને ધો. 12 સાયન્સની પરીક્ષામાં મહત્વના પેપર પૂર્ણ થયા છે. 30 માર્ચથી જ મૂલ્યાંકનની કામગીરી શરૂ થઈ જશે. ધો.10ની ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી માટે સમગ્ર રાજયમાં 163 મધ્યસ્થ કેન્દ્ર નકકી કરવામાં આવ્યા છે. આ કેન્દ્ર પર 28 હજાર શિક્ષકો કામગીરીમાં જોડાશે. બોર્ડ સૂત્રોના જણાવ્યા મુજબ, મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર નકકી કરી દેવામાં આવ્યા છે. શિક્ષકોને પણ મૂલ્યાંકન કામગીરીના ઓર્ડર ઈશ્યુ થઈ ગયા છે. બોર્ડની પરીક્ષા પૂર્ણ થતાની સાથે જ બીજા દિવસથી તમામ કેન્દ્ર પર એક સાથે મૂલ્યાંકનની કામગીરી શરૂ કરવામાં આવશે.
ધો.12 સાયન્સમાં સમગ્ર રાજયમાં 56 કેન્દ્ર પરથી 10 હજાર શિક્ષક દ્વારા ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી શરૂ થશે. ધો.12 સામાન્ય પ્રવાહ માટે પણ રાજયમાં 144 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર નકકી કરવામાં આવ્યા છે. આ કેન્દ્રો પર 30 હજાર શિક્ષક ધો.12 સામાન્ય પ્રવાહની ઉત્તરવહીનું મૂલ્યાંકન કરશે. સમગ્ર રાજયમાં ધો.10 અને 12ના મળી કુલ 363 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પર 68 હજાર શિક્ષક દ્વારા ઉતરવહીનું મૂલ્યાંકન કરવામાં આવશે.
ગત વર્ષની સરખામણીમાં આ વખતે વધુ સંખ્યામાં શિક્ષકને મૂલ્યાંકન માટે જોડવામાં આવ્યા છે. ગત વર્ષે ધો.10માં 25 હજાર શિક્ષક હતા, જયારે ધો.12 સાયન્સમાં 9 હજાર અને સામાન્ય પ્રવાહમાં 27 હજાર શિક્ષક મૂલ્યાંકન માટે જોડાયા હતા. ગત વર્ષે 61 હજાર શિક્ષક મૂલ્યાંકન કામગીરીમાં જોડાયા હતા. આ વખતે 7 હજાર વધુ શિક્ષકને મૂલ્યાંકન કામગીરી માટે બોલાવીને રિઝલ્ટ સમયસર મળે એ બોર્ડની પ્રાથમિક્તા છે.