સુરતમાં જિનશાસન સમર્પિત પરિવારે વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે એક પ્રેરણાદાયી અને સમાજને અનોખી રાહ ચિંધતા કાર્યક્રમની જાહેરાત કરી તેની સાચા અર્થની સફળતા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જ્ઞાનની આશાતનાથી બચો એવા સૂત્ર સાથેનો આ કાર્યક્રમ તા. 4, 5 અને 6 મેએ રાત્રે 8ઃ30થી 10 વાગ્યા સુધી તેમજ તા. 7મીએ સવારે 10થી બપોરે 12 કલાક સુધી આયોજિત થશે.
શ્રી ઉમરા જૈન સંઘ, શ્રી ઓમકારસૂરી આરાધના ભવન-પાલ, શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દેરાસર- રાંદેર રોડ જૈન સંઘ, શ્રી રામવિહાર જૈન સંઘ-વેસુ ઉપરાંત શ્રી ઓમકારસૂરી આરાધના ભવન-ગોપીપુરા અને શ્રી નીતિસૂરી આરાધના ભવન-કતારગામ તેમજ શ્રી કૈલાશનગર જૈન સંઘ-પાર્શ્વનગર-2ના સંયુક્ત પ્રયાસોથી આ આયોજન અંગે રૂપરેખા આપતાં જૈન પરિવારના ઉત્સાહી યુવકોએ જણાવ્યું હતું કે, આ વિશેષ આયોજન અંતર્ગત નવા કે જુના ધાર્મિક પુસ્તકો, પંચાંગ, ધાર્મિક પત્રિકાઓ, મેગેઝિન વગેરે સાહિત્ય જે તમારા ઉપયોગમાં નથી, ઘરમાં આશાતના થાય છે, તમને જરૂર ન હોય તો તેને ઉપરોક્ત સ્થળોએ પહોંચતી કરો જેના બદલે નવા પુસ્તકો વ્યક્તિગત અથવા જ્ઞાનભંડારમાં ભેટ આપવામાં આવશે. જે જુના કે ફાટી ગયેલા પુસ્તકો મળશે તેનો તેઓ દ્વારા ઉચિત નિકાલ કરવામાં આવશે.
આ રચનાત્મક અનોખા અભિયાન વિશે વધુ સમજ આપતાં તેઓએ જણાવ્યું હતું કે, ઘરના મંદિરને ગોડાઉન બનતું અટકાવવું જોઈએ. ધાર્મિક પુસ્તકો, માળા, ધાર્મિક ફોટાઓ, મૂર્તિ વગેરેને પ્રભાવનામાં લેતા પહેલા વિચારો, તેનો ઉપયોગ થવાનો હોય, સારી રીતે સાચવી શકો તેમ હોય તો જ સ્વીકાર કરો, નહીં તો પ્રેમથી ના પાડી દો, તેમાં કોઈ પાપ નથી લાગતું.