ઈન્ડિગો એરલાઈન્સના કો-ફાઉન્ડર રાકેશ ગંગવાલે આઈઆઈટી કાનપુરને 100 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. આ રકમ સંસ્થામાં બની રહેલી SMRT (સ્કૂલ ઓફ મેડિકલ રિસર્ચ એન્ડ ટેક્નોલોજી)ના નિર્માણમાં મદદ કરવા માટે આપવામાં આવી હતી.
ડાયરેક્ટર પ્રો. અભય કરંદીકરે ટ્વીટ કરીને કહ્યું કે, પૈસાથી આ પ્રોજેક્ટ જલ્દી પૂરો થશે. પ્રથમ તબક્કામાં 500 કરોડનો ખર્ચ કરવામાં આવશે. SMRT હેઠળ, સંસ્થામાં 500 બેડની મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ પણ ખોલવામાં આવશે. એન્જિનિયરિંગની સાથે સાથે મેડિકલનો અભ્યાસ પણ આઈઆઈટીમાં કરવામાં આવશે. મેડિકલ ફિલ્ડની યુટિલિટી પ્રમાણે રિસર્ચની સાથે ઇક્વિપમેન્ટ પણ ડેવલપ કરવામાં આવશે. ગંભીર રોગોની સારવાર પણ કરવામાં આવશે.
પ્રો. કરંદીકર સોમવારે મુંબઈમાં ઈન્ડિગો એરલાઈન્સના સહ-સ્થાપક રાકેશ ગંગવાલને મળ્યા હતા. રાકેશે વર્ષ 1975માં સંસ્થામાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં B.Tech કર્યું હતું. ડાયરેક્ટરના પ્રોજેક્ટની વાત સાંભળીને તેમણે 100 કરોડની મદદ આપી. નિર્માણ કાર્ય ટૂંક સમયમાં શરૂ થશે.
આઈઆઈટીમાં લગભગ 1000 એકરમાં સ્કૂલ ઓફ મેડિકલ રિસર્ચ એન્ડ ટેકનોલોજી આવી રહી છે. 247 એકરમાં હોસ્પિટલ બનશે. ડિઝાઇન માટે એશિયાની જાણીતી કંપની હેલ્થકેર મેનેજમેન્ટ અને હોસ્મેકની નિમણૂક કરવામાં આવી છે. સંશોધનની સાથે અહીં સારવાર પણ થશે. પ્રથમ તબક્કામાં કાર્ડિયોલોજી, યુરોલોજી, કાર્ડિયોથોરાસિક, નેફ્રોલોજી, સર્જિકલ ગેસ્ટ્રોએન્ટેરોલોજી, ન્યુરોલોજી, ન્યુરોસર્જરી અને ઓન્કોલોજી સહિતના ઘણા પીજી કોર્સ શીખવવામાં આવશે. અહીં ન્યુરોલોજી, ઓર્થોપેડિક, લીવર, કીડની અને કેન્સરની સારવાર માટે એન્જીનીયરીંગની મદદથી સાધનો પણ વિકસાવવામાં આવશે. બીજા તબક્કામાં એમબીબીએસમાં પ્રવેશ આપવામાં આવશે.